કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવાને લઇને મોટું નિવેદન આપ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ એક વિચારધારાની લડાઈ છે.
સિંધિયા મામલે રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન
નિર્મલા સિતારમણને અર્થવ્યવસ્થાની વધારે ખબર નથીઃ રાહુલ ગાંધી
કોરોના મામલે જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ: રાહુલ
જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષપલટા મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, કોઈના આવવા જવાથી કોઈ ફરક નથી પડવાનો. હું જ્યોતિરાદિત્ય સિંધિયાને સારી રીતે ઓળખું છું. તેમની સાથે મારી જૂની મિત્રતા છે. અમે બન્ને કોલેજમાં સાથે ભણતા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, સિંધિયા તેમના રાજનૈતિક ભવિષ્યથી ચિંતિત હતા. એટલે તેમણે પોતાની વિચારધારા ખિસ્સામાં મુકી અને RSS સાથે ચાલ્યા ગયા. જોકે તેમણે જે કર્યું છે, તેનો તેને ટુંક સમયમાં જ અનુભવ થશે. ત્યાં તેમને સન્માન નહીં મળે.
કોરોના વાયરસ મામલે ભારતમાં કોઈ તૈયારીઓ ન કરાઈ: રાહુલ
કોરોના વાયરસને લઇને પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મે પહેલા કહ્યું હતું કે કોરોના વાયરસને ગંભીરતાથી લેવો જોઇએ, પરંતુ સરકાર આને ગંભીરતાથી નથી લઇ રહી. મોદી વિચારધારા અર્થવ્યવસ્થાને નષ્ટ કરી રહી છે. નિર્મલા સિતારમણને અર્થવ્યવસ્થાની વધારે ખબર નથી.
હાલ સ્થિતિએ અર્થતંત્રમાં સુનામીનો માહોલ: રાહુલ
હિંદુસ્તાનની અર્થવ્યવસ્થાને સરકારની નિતીઓએ બગાડી છે. અર્થવ્યવસ્થા બગડવાની હજુ તો શરૂઆત થઈ છે. અર્થવ્યવસ્થા પરની માઠી અસરો હજુ દેખવાની બાકી છે. હાલ સ્થિતિએ અર્થતંત્રમાં સુનામીનો માહોલ છે. અમે અર્થવ્યવસ્થાને સારી રીતે જાણીએ છીએ. અર્થવ્યવસ્થા પર PM મોદી કંઈ બોલી નથી રહ્યા. દેશની નબળી અર્થવ્યવસ્થાથી દેશવાસીઓને અસર પડશે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ દેશના આર્થિક સ્થિતિને લઇને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. આજે શેર માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં જે થયું, તે સૌની સામે છે. શેર માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં સતત કડાકો નોંધાઇ રહ્યો છે.
શેર બજારમાં મોટો કડાકા બાદ રાહુલ ગાંધીનું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થાને લઇને તે સમયે સામે આવ્યા છે, જ્યારે સપ્તાહના ચોથા દિવસ ગુરૂવારે ભારતીય શેર બજારે પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો છે. વેપાર દરમિયાન સેન્સેક્સ 3200 પોઇન્ટ સુધી લટકી ગયો, તો નિફ્ટીમાં પણ 1000 પોઇન્ટનો ઘટાડો નોંધાયો.
વેપારના અંતમાં સેન્સેક્સ 8.18 ટકા એટલે 2919.26 પોઇન્ટ તૂટીને 32,778.14 પર બંધ થયો. જો નિફ્ટીની વાત કરીએ તો 868.25 પોઇન્ટ એટલે 8.30 ટકા પર અટકીને 9,590.15 પોઇન્ટ પર રહ્યો. જણાવી દઇએ કે આ શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો છે. કોઇ એક દિવસમાં શેર બજારમાં આટલો માટો ઘટાડો નથી જોવા મળ્યો.