અમરેલીઃ સિંહોના મોત મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ટ્વીટને લઈને ફરી મામલો ગરમાયો છે. ધાનાણીએ ટ્વીટ કરી કહ્યું કે તંત્રએ રોગિષ્ટ મારણ પીરસીને 23 સિંહોની બલી ચઢાવી છે. હવે ભયના ઓથાર હેઠળ સિંહોને મધ્ય પ્રદેશ ખસેડવાનું ષડયંત્ર ઘડાયું છે.
પરેશ ધાનાણીના ટ્વીટથી ફરી મામલો ગરમાયો છે. કારણ કે પહેલાથી જ સિંહોના સ્થળાંતરનો ગીરવાસીઓ વિરોધ કરી રહ્યા છે. કારણ કે સિંહોનું સ્થળાંતર કરવું એટલે કે ગીરની ઓળખ અને મહત્વ ઘટાડવા જેવું થયું.
"સિંહો નું સ્થળાંતર.?"
સિંહોની સુરક્ષા ઈ આપણા સૌની
સામુહિક જવાબદારી છે.
પરંતુ તૈયાર ભાણે રોગિષ્ટ ઢોરને ખોરાક તરીકે
પિરસનારા સરકારી તંત્રએ એકજ પરિવારના
૨૩ જેટલા સિંહોની બલિ ચઢાવી અને ભયના
ઓથાર હેઠળ ગુજરાતના સ્વાભિમાન સમાન
સિંહોને મધ્યપ્રદેશમા ધકેલવાનુ રાજકીય
ષડયંત્ર રચ્યું છે.! pic.twitter.com/NVYqLN29yD
મહત્વનું છે કે તેમણે સાથે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં 'ગીરના સિંહોને અન્યત્ર ખસેડવા ICMR-NIVએ તાકીદ કરી' તેવો ફોટો પણ શેર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગીરમાં 23 સિંહોના મોત થયા હતા. જેને લઇને સમગ્ર ગુજરાત અને દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મુદ્દો રાજનીતિમાં પણ ઉછળ્યો હતો. ત્યારે વિપક્ષે આ સિંહોના મોતને લઇ સરકાર પર પ્રહારો કરી રહી છે.