ધમણ-1 વિવાદમાં આવ્યું છે જે સ્વદેશી વેન્ટિલેટર મશીનના મુખ્યમંત્રી વિજય રૂપાણી હિન્દીમાં વખાણ કરી રહ્યા હતા. આ એજ મશીન જેની જાહેરાત માટે દોઢ મહિના પહેલા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જાણિતા ઉદ્યોગતિએ સાથે પ્રેસકોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રીના ગૃહ શહેર રાજકોટની કંપનીએ 10 દિવસમાં વેન્ટિલેટર તૈયાર કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીએ ઉત્સાહભેર તેની માહિતી આપી હતી અને ગુજરાતે કરી દેખાડ્યું હોવાનો ભાવ હિન્દીમાં વ્યક્ત કર્યો હતો. રાજકોટની કંપની દ્વારા ધમણ-1 વિના મુલ્યે આપવામાં આવી છે. જોકે સિવિલના સુપ્રિટેન્ડટનો પત્ર અને કોંગ્રેસના આક્ષેપ બાદ આ સ્વદેશી વેન્ટિલેટર વિવાદમાં આવ્યું. ત્યારે હવે આને લઇને ગુજરાત સરકાર પર ધાનાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે.
ધમણ-1 જ્યોતિ CNCએ સરકારને મફતમાં નથી આપ્યુંઃ ધાનાણી
નીયો રાજકોટ ફાઉન્ડેશન અમારી જ સંસ્થાઃ પરાક્રમસિંહ
જ્યોતિ CNCએ ધમણ માટે દાન સ્વીકાર્યાની વાત પરાક્રમસિંહ કરી ચૂક્યા છે
ધમણ-1ને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું કે, ધમણ-1 જ્યોતિ CNCએ સરકારને મફતમાં નથી આપ્યું. ધમણ-1 માટે નીયો રાજકોટ ફાઉન્ડેશને નાણા ઉઘરાવ્યા છે. ત્યારબાદ આ નાણા ઉઘરાવીને જ્યોતિ CNCને ચુકવ્યા છે. મુખ્યમંત્રીએ મિત્રનો ખરાબ માલ વેચવા પ્લાન બનાવ્યો હતો. નાણા સંસ્થાએ આપ્યા અને વિના મુલ્યે મળ્યાનું સરકારે રટણ કર્યું કર્યું. આ વેન્ટિલેટર માટે વિવિધ સંસ્થાના નાણાનો સરકાર હિસાબ આપે.
મહત્વનું છે કે, 4થી એપ્રિલના રોજ CNCના પરાક્રમસિંહે પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપોના જવાબ આપ્યા હતા. જેમાં પરાક્રમસિંહે સ્વીકારેલું કે મારા મિત્ર સર્કલના ગ્રુપે દાન કર્યું છે. પહેલા 1 હજાર વેન્ટિલેટર માટે પરાક્રમસિંહે દાન સ્વીકાર્યાનું કહ્યું હતું. 1 હજાર પછીના ધમણ માટે સરકાર પાસેથી પૈસા લેવાની વાત કરી હતી. ધમણ મુદ્દે જયોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે કે, નીયો રાજકોટ ફાઉન્ડેશન અમારી જ સંસ્થા છે. અમે અને અમારી સંસ્થાએ ધમણ-1નું દાન કર્યું છે.
ક્યાથી શરૂ થયો વિવાદ?
જોકે, આ વેન્ટિલેટરનું પ્રોડક્શન થોડા સમય બાદ શરૂ થયું અને ત્યારબાદ તેની ડિલિવરી કરવામાં આવી. હોસ્પિટલમાં આ વેન્ટિલેટર પણ લગાવાયા. એટલે તે ચર્ચાના વિષયમાંથી બાકાત થવા લાગ્યું. પરંતુ અચાનક 15 તારીખે ફરી આ મુદ્દો લાઇમ લાઇટમાં આવ્યો જ્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટે એક પત્ર લખ્યો હતો.
હોસ્પિટલના સુપ્રિટેન્ડટે પોતાના પત્રમાં લખ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા ધમણ-1 અને MGVA વેન્ટિલેટર પુરા પાડવામાં આવ્યા હતા. પરંતુ એનેસ્થેશિયા વિભાગ વડા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ બન્ને વેન્ટિલેટર કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ નથી આપી શકતા. જેથી કોરોનાના દર્દીઓ માટે હાઈએન્ડ ICU વેન્ટિલેટર ફાળવવામાં આવે.
સુપ્રિટેન્ડટના પત્રમાં એવુ સ્પષ્ટ લખવામાં આવ્યું કે આ મશીન કોરોના વાયરસના દર્દીઓ માટે ધાર્યું પરિણામ નથી આપી શકતા. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારની ખુબ ટીકા થવા લાગી. ધમણ ફેઇલ થયું હોવાના આક્ષેપો થવા લાગ્યા. મુખ્યમંત્રીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હોવાથી વિપક્ષે પણ પ્રહાર કરવાની આ તક જવા ન દીધી.
પત્ર વાયરલ થયા બાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે ડૉક્ટર પ્રભાકરે કરી હતી સ્પષ્ટતા
પ્રભાકરે સ્પષ્ટતામાં કહ્યું કે, મશીનમાં સુધારા વધારા સુચવી દેવાયા છે. હવે ધમણ 3 વેન્ટિલેટર માર્કેટમાં મુકવાના છે. એટલે કે જવાબ નરોવાકુંજોવા સમાન હતો. કારણ કે, તેમણે જે આશા સેવી છે તે ધમણ 3 પર છે. ધમણ 1 તો ખાસ કારગર નથી તે વાત થયા સ્થાને જ છે. જોકે, સુપ્રીટેન્ડટ બાદ ફરી વિપક્ષે સરકાર પર આક્ષેપ કર્યા. તો સરકારે પણ જવાબ આપીને વળતો પ્રહાર કર્યો.
ધમણ 1 વેન્ટિલેશન મશીન પોતે વેન્ટિલેટર પર હોય તેમ કોરોનાના દર્દીઓ માટે ખાસ સફળ નથી રહ્યું. જોકે આ મશીનને કારણે દેશભરમાં ગુજરાતની વાહવાહી થઈ છે. એટલે આશા રાખીએ કે આ મશીનનું આગળનું વર્ઝન ધમણ 3 કોરોનાના દર્દીઓ માટે કારગત નિવડે અને આશા યથાર્થ ઠરે.