કોંગ્રેસ પાર્ટી અને તેના કેટલાક નેતાઓ કોરોના વાયરસનો ચેપ અટકાવવા માટે દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા 21 દિવસના લોકડાઉનની ઘોષણા પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે, ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે તેની પ્રશંસા કરી છે આટલું જ નહીં, ચિદમ્બરમે દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં વડા પ્રધાનનો કમાન્ડર તરીકે સ્વીકાર કરે અને પોતે પાયદળ સૈનિકની જેમ તેમના શબ્દોને અનુસરીને, કોરોના વાયરસનો મજબૂતીથી સામનો કરે.
ચિદમ્બરમે PM મોદીના નિર્ણયને આપ્યું સમર્થન
પ્રજાને આર્થિક લાભ આપવા માટે ૧૦ મુદ્દાઓની યોજનાનું સૂચન કર્યું
ખેડૂતો અને GSTમાં રાહત આપવાનો અનુરોધ
ચિદમ્બરમે 21 દિવસના લોકડાઉનને સમર્થન આપતાં કહ્યું- 'પીએમ મોદી કમાન્ડર અને કોરોના વાયરસ સામેના યુદ્ધમાં જનતા પાયદળ'આ મુશ્કેલ સમયમાં ચિદમ્બરમે ગરીબો, ખેડુતો અને મજૂરોના બેંક ખાતાઓમાં પૈસા મૂકવાની 10 મુદ્દાની યોજના સૂચવી છે. તેમજ તેમણે 1 એપ્રિલથી 30 જૂન 2020 સુધી તમામ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પરના GST દરમાં 5 ટકા ઘટાડો કરવાની માંગ પણ કરી છે.
ચિદમ્બરમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસીય રાષ્ટ્રવ્યાપી લોકડાઉન એ કોવિડ 19 વિરુદ્ધના યુદ્ધમાં ઐતિહાસિક પગલું છે. 24 માર્ચ પહેલાના વિવાદોને આપણને પાછળ છોડી દેવા જોઈએ અને દેશવ્યાપી લોકડાઉનને એક નવા યુદ્ધની શરૂઆત તરીકે જોવું જોઈએ જેમાં વડા પ્રધાન કમાન્ડર અને જનતા પાયદળના સૈનિકો છે.'
કોગ્રેસ પાર્ટી સાથે મારા આ નિવેદનને કોઈ લેવા દેવા નથી: ચિદમ્બરમ
તેમણે વધુમાં કહ્યું કે આવા સમયે વડા પ્રધાન, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાનું સંપૂર્ણ સમર્થન આપવું જોઈએ અને તેમની ફરજો નિભાવવી જોઈએ. જો કે ચિદમ્બરમે સ્પષ્ટ કરી દીધું હતું કે આ તેમનો અંગત મત હતો, પાર્ટીને તેની સાથે કંઈ લેવાદેવા નથી.
'સ્ટે હોમ ઇન્ડિયા' એક મોટી રેલી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરવાની ઘોષણા કરીને કોરોનો વાયરસના પ્રસારને રોકવા માટે અભૂતપૂર્વ કડક પગલું ભર્યું છે જેના અંતર્ગત કેન્દ્ર સરકારે કહ્યું કે આ સમયગાળા દરમિયાન તમામ માર્ગ, રેલ અને હવાઈ પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. લોકોને ઘરે રોકાવાનું અનુરોધ કરતા ચિદમ્બરમે કહ્યું કે, 'સ્ટે હોમ ઈન્ડિયા (ભારતીયો ઘરે જ રહો) એ એક મોટી રેલી છે.'
ચિદમ્બરમે કેન્દ્ર સરકારને આપેલા સૂચનોમાં લોકોના પગાર અને નોકરી સુરક્ષિત રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સૂચનમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય છ હજાર રૂપિયાથી વધારીને 12,000 કરવામાં આવે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં તાત્કાલિક ટ્રાન્સફર થવી જોઈએ. આ ઉપરાંત ગણોતિયા ખેડુતોને પણ આ યોજનાનો લાભ આપવા માટે 12,000 રૂપિયાની માંગ પણ કરવામાં આવી છે.