લોકસભાના જંગ માટે તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે ત્યારે નેતાઓ પોતાની જીભ પરથી કાબૂ પણ ગુમાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ પીએમ મોદીને લઇને વિવાદિત નિવેદન આપી દીધું.
વિવાદિત નિવેદનોની શ્રેણીમાં કોંગ્રેસના વધુ એક નેતા નવજોત સિંહ સિદ્ધુનું વધુ એક નિવેદન સામેલ થઇ ગયું છે. ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહ માટે ચૂંટણી પ્રચાર કરી રહેલ સિદ્ધુએ કહ્યું કે 'એવો છગ્ગો મારો કે મોદી હિન્દુસ્તાન બહાર જઇને મરે'. ભોપાલમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું 12 મેના રોજ મતદાન છે. આ સમયે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ભોપાલમાં દિગ્વિજય સિંહની ટક્કર ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સાથે છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચેલ નવજોતસિંહ સિદ્ધુએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે વિવાદિત નિવેદન પણ આપી દીધું.
સિદ્ધુએ કહ્યું કે, જ્યારે હું જવાન હતો, અત્યારે પણ જવાન છું... છગ્ગો મારતો હતો તો બોલ બાઉન્ડ્રી પાર...તમે મારાથી જોરવાળા છો ભોપાલવાસીઓ... આ માર્યા મોદીને બહાર ઉડાવી દીધા.
આ અગાઉ સિદ્ધુએ ભોપાલમાં કહ્યું કે મચ્છરને કપડા પહેરાવવા, હાથીને ખોળામાં જુલાવવો અને તમારાથી સાચુ બોલાવવું અસંભવ છે નરેન્દ્ર મોદી. જણાવી દઇએ કે ધર્મના નામ પર મત માંગવા માટે ચૂંટણી પંચે નવજોતસિંહ સિદ્ધુ પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો.