પાટીદાર સમાજ ગુજરાતની રાજનીતિમાં ઉથલ-પાથલ કરવાની ભૂમિકામાં રહે છે. તે વિધાનસભા ચૂંટણી પહેલા જ એક્ટિવ મોડમાં થઈ ગયો છે. તેમાં પણ હવે પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને રાજનીતિમાં લાવવા માટે રાજકીય પાર્ટીઓ આમંત્રિત કરી રહી છે.
વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ છે. ખોડલધામના નરેશ પટેલને હાર્દિક પટેલનો ખુલ્લો પત્ર આપ્યો હતો. નરેશ પટેલને રાજકારણમાં આવવા હાર્દિક પટેલની વિનંતી કરી હતી. તો હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. આ વચ્ચે હવે કોંગ્રેસ નેતા મનહર પટેલનું નરેશ પટેલ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મનહર પટેલે કોંગ્રેસ આગેવાનો નરેશભાઈના કોંગ્રેસ પ્રવેશની તારીખ જાહેર કરે.
નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ નેતા મનહર પટેલનું ટ્વીટ
કોંગ્રેસ નેતા મનહર પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે નરેશ પટેલને કોંગ્રેસમાં આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે, તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી નરેશ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે.
જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસમા આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે,તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે. @INCIndia@INCGujarat
આ સવાલ હાલ ગુજરાતની રાજનીતિમાં ખુબ ગરમાય રહ્યો છે. કારણ કે, જે નરેશ પટેલે રૂપાણી સરકાર સમયે ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનો મુદ્દો ગરમ કર્યો હતો. હવે તે જ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને રાજનીતિમાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. નરેશ પટેલે આ માટે પહેલા જ સંકેતો પણ આપી દીધા હતા. પરંતુ ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કારણ કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને લખેલા પત્રને અને પરેશ ધાનાણીએ પણ આમંત્રણ આપતા રાજકીય માહોલ ગરમાયો હતો.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા નવી રણનીતિઓને અંજામ આપવાનું શરૂ કર્યું છે. જેના ભાગ રૂપે 23 માર્ચ પહેલા પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે તેવી સરકાર સામે ચિમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ હાર્દિકે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલને ખુલ્લો પત્ર લખી રાજકીય જીવનમાં જોડાવા માટે અપીલ કરી છે.
હાર્દિક પટેલનો પત્ર
ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે. આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે. કારણ એ પણ છે કે સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગયો છે.સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે. પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માગણીઓ સંતોષવામાં આવતી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે. પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે. હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં, પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ પત્ર લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યનાં હિત અને અસ્તિત્વની લડાઈના શ્રીગણેશ કરો. - આપનો હાર્દિક પટેલ
આ પત્રનો કોઈ સચોટ જવાબ હું અત્યરે નહીં આપી શકું : હાર્દિક પટેલના પત્ર બાબતે નરેશ પટલે આપ્યું હતું નિવેદન
નરેશ પટેલને ધાનાણીનું આમંત્રણ
રાજકોટ આવેલા પરેશ ધાનાણીએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. નરેશભાઈ સહિત સૌને કોંગ્રેસમાં આવકારીએ છીએ. કોંગ્રેસના માધ્યમથી સેવા કરવા માંગતા તમામનું સ્વાગત છે.
રાજનીતિમાં આવશે નરેશ પટેલ?
મહત્વની વાત એ છે કે, નરેશ પટેલ રૂપાણી સરકાર બદલાયા બાદ ભારે એક્શન મોડમાં આવી ગયા છે. પહેલા તો રૂપાણી સરકારમાં ગુજરાતમાં ત્રીજા પક્ષની એન્ટ્રીનો મુદ્દો છંછેડયો હતો. ત્યારબાદ ભૂપેન્દ્ર સરકાર બનતા જ તેમનો દ્રષ્ટિકોણ પણ બદલાયો. તો બીજી તરફ પાટીદારો પરના કેસો પાછા ખેંચવાની વાત સાથે જ સી.આર.પાટીલની ખોડલધામ મુલાકાત બાદ તેઓ રાજનીતિમાં પગ મુકશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું. કોંગ્રેસ નેતા ભરતશસહે પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જ્યારે નરેશ પટેલે ખુદ સામેથી ચાલી સી.આર.પાટીલ સાથે પણ ફરી બેઠક કહી હતી. આ બેઠક બાદ રાજનીતિમાં પગ મુકશે તેવા સંકેત આપ્યા હતા. પરંતુ ક્યા પક્ષ સાથે જોડાશે તે સ્પષ્ટ કર્યું નથી. તેવામાં હાર્દિક પટેલની અપીલના પગલે ફરી નરેશ પટેલ ચર્ચામાં આવ્યા છે.
આ મુદ્દે ભાજપનું શું કહેવું છે?
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાઓ મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોને ક્યાં જોડાવું અને ન જોડાવું એનો નિર્ણય પોતાનો હોય છે. કોંગ્રેસનો પોતાનો આંતરિક મામલો છે. ચૂંટણી આવે ત્યારે હાર્દિક પટેલને યુવાનો દેખાય છે. હવે યુવાનોને એકત્રિત કરવા અને આંદોલનની વાત કરે છે. કોંગ્રેસનો આંતરિક ડખો ખુલીને બહાર આવી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં અને બહાર કોંગ્રેસના અલગ ચહેરા છે.
અહીં એક વાત તો સ્પષ્ટ છે કે, નરેશ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિમાં પ્રવેશ કરશે, પરંતુ ક્યારે કરશે અને ક્યા પક્ષમાં જોડાશે તે નક્કી નથી. ત્યારે જોવાનું એ રહેશે કે, નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રી ક્યા પક્ષને ફાયદો કરાવે છે અને કોને નુકસાન.