રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસે ભાજપ સામે મોર્ચાબંધી માટે AAP સહિત અન્ય પાર્ટીઓનો સંપર્ક કર્યો
રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે
કોંગ્રેસે ભાજપ સામે મોર્ચાબંધી માટે AAPનો સંપર્ક કર્યો
કોંગ્રેસ દ્વારા અન્ય પક્ષોના નેતાઓને સમાજાવવાનો પ્રયાસો શરૂ કર્યા
રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આ સાથે જ રાજકીય ગરમાવો નવેસરથી ઉંચકાવવા લાગ્યો છે.ભાજપ સામે મોર્ચાબંધી કરવા માટે કોંગ્રેસે અન્ય વિપક્ષી પાર્ટીઓના મનની વાત જણાવવાનું શરૂ કર્યું છે અને તેમને એક છાવણીમાં લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસે AAPનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને વિરોધ પક્ષોને સમજાવવાની જવાબદારી સોંપી છે.
AAP પણ સત્તાધારી NDAના ઉમેદવાર સામે સંયુક્ત ઉમેદવાર ઊભો કરવાના પક્ષમાં છે
એક મીડિયા અહેવાલમાં રાજકીય સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે ખડગેએ AAPના રાજ્યસભાના નેતા સંજય સિંહ સાથે વાત કરી છે. AAP પણ સત્તાધારી NDAના ઉમેદવાર સામે સંયુક્ત ઉમેદવાર ઊભો કરવાના પક્ષમાં છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ઉમેદવાર હશે તેની ચર્ચા હજુ શરૂ થઈ નથી. અત્યારે પાર્ટીની નજર છે કે કઇ પાર્ટીઓ સંયુક્ત ઉમેદવાર ઉતારવાની તરફેણમાં છે, ત્યાર બાદ સંભવિત નામો પર ચર્ચા થશે.
કોંગ્રેસ દ્વારા અન્ય પક્ષોના નેતાઓને સમાજાવવાનો પ્રયાસો શરૂ કર્યા
અન્ય પક્ષોના નેતાઓએ પણ બાકી દળોના વિપક્ષી નેતાઓને સમજાવાના પ્રયાસો શરૂ કર્યા છે. NCP વડા શરદ પવારે શુક્રવારે ડાબેરી પક્ષોના નેતાઓ સાથે વાત કરી હતી. જેમાં સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી. રાજાનો સમાવેશ થાય છે. સીપીઆઈ નેતા બિનોય વિશ્વમે ટ્વીટ કરીને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેના કોલ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે સીપીઆઈ બિનસાંપ્રદાયિક ઓળખ અને પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવતા સંયુક્ત ઉમેદવારને સમર્થન આપશે.
તમામ પક્ષો સાથે અનૌપચારિક વાતચીત થયા બાદ સંયુક્ત બેઠક બોલાવાશે
અન્ય એક સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર, એકવાર તમામ પક્ષો સાથે અનૌપચારિક વાતચીત થઈ ગયા બાદ દિલ્હીમાં તમામ વિપક્ષી પાર્ટીઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે, જેમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ તમામ વિપક્ષી દળો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં માને છે. આ હેઠળ, અમારી પાસે એક સંયુક્ત ઉમેદવાર હશે જે સમાન વિચારધારાવાળા પક્ષોના બિનસાંપ્રદાયિક વિચારોનું પ્રતિનિધિત્વ કરશે.
મીરા કુમારને 2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષોએ મેદાનમાં ઉતાર્યા હતા
તાજેતરમાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ભારતના આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટે 18 જુલાઈએ મતદાન થશે. આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તે 21 જુલાઈના રોજ ખબર પડશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. મીરા કુમારને 2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષોએ મેદાનમાં ઉતાર્યા હતા. તે જીતી ન શકી પરંતુ હાર્યા બાદ પણ તેણે રેકોર્ડ બનાવ્યો.તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારેલા કોઈપણ ઉમેદવાર કરતાં સૌથી વધુ મત મળ્યા છે. મીરા કુમારને 10.69 લાખ માન્ય મતોમાંથી 3.67 લાખ મત મળ્યા. આ વખતે શિવસેના અને ટીઆરએસના વધારાના સમર્થનથી વિપક્ષ પાસે આ રેકોર્ડ તોડવાની તક છે.