હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન નિધન, યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના પિતાનું નિધન
ભરતભાઈ પટેલનું કોરોનાથી નિધન
યુ.એન.મહેતા હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું નિધન થયું છે. હાર્દિકના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. હાર્દિકના પિતાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હાર્દિક પટેલના પિતાનું ગોતા ખાતે સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી
કોંગ્રસ નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત કરી અને પરિવારજનોને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલી
હાર્દિક પટેલના પિતાના નિધન પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, 2 મેના રોજ હાર્દિક પટેલ પણ કોરોના સંક્રમિત થયો હતો. જે અંગે હાર્દિક પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હાર્દિક હોમ આઈસોલેટ થયો હતો.