ગુજરાતના રાજકારણમાં ભરતસિંહ સોલંકી ફરીવાર સક્રિય થયા છે. પ્રમુખ પદ છોડ્યા બાદ લાંબા સમય સુધી નાદુરસ્ત તબિયતના કારણે ભરતસિંહ રાજકારણમાં નિષ્ક્રિય હતા. ત્યારે હવે તેમને કોંગ્રેસ પક્ષમાં મહત્વનું પદ મળી શકે છે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ફરીવાર થયા સક્રિય
ગુજરાત કોંગ્રેસના સુપ્રીમો બનવા હલચલ તેજ બની
કોરોના બાદ તેઓ 101 દિવસની સારવાર લીધી હતી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ફરીવાર રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. લાંબા સમય સુધી નાદુરસ્ત તબિયતના કારણે નિષ્ક્રિય હતા. રાજ્યસભા ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. ગુજરાત કોંગ્રેસમાં અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જૂથ હાવી રહે છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની તમામ બેઠકોમાં ભરતસિંહ હાજર રહે છે. ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના સુપ્રીમો બનવા હલચલ તેજ બની છે. 2015 સ્થાનિક સ્વરાજ્ય-2017 વિધાનસભા ભરતસિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસ લડ્યું હતું. 2014-2019 લોકસભા ચૂંટણીમાં ભરતસિંહની હાર થઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકમાં ભરતસિંહ રહ્યા હાજર
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પ્રદેશ કોંગ્રેસ કો-ઓર્ડિનેશન સમિતિની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસમાં સંવાદના અભાવની ફરિયાદ ઉઠી છે. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા અને સિદ્વાર્થ પટેલ સહિત રાજ્યસભાના સાંસદો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.
કોંગ્રેસે કમિટીઓની રચના કરી જેમાં ભરતસિંહને સ્ટ્રેટર્જિ કમિટીમાં ચેરમેન બનાવાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમિટીઓની રચના કરી છે. આ કમિટીઓમાં અર્જુન મોઢવાડિયા, દિપક બાબરિયા, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, કાદીર પીરઝાદા અને સિદ્ધાર્થ પટેલને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોર્ડીનેશન કમિટીમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિત 25 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
101 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયા ભરતસિંહ
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભરતસિંહ સોલંકી લાંબા સમયથી સીમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. 101 દિવસ બાદ ભરતસિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ભરતસિંહે સોલંકીએ ડૉક્ટર સ્ટાફનો આભાર મનતા કહ્યું કે હું ડોક્ટર્સનો અત્યંત રૂણી છું. મને ફરીથી જીવનદાન મળ્યું છે. સ્વસ્થ થયા બાદ તેઓ સૌપ્રથમ વખત કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ દરમિયાન ભરતસિંહે કહ્યું હતું કે, નવા મળેલા જીવનમાં પ્રથમ વખત લોકોની વચ્ચે આવ્યો છું.