ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાઈ ચુક્યા છે. સી.આર પાટીલને ભાજપે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપી છે. જોકે પાટીલની નિમણૂંક થઈ ત્યારથી જ ભાજપ અને વિપક્ષ સોશિયલ મીડિયા સામસામે આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સી.આર. પાટીલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
સી.આર. પાટીલ પર કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાના ગંભીર આરોપ
107 ગુના નોંધાયા હોવાનું સી.આર. પાટીલે જાહેર કર્યું હતુંઃ મોઢવાડિયા
ગુજરાત સરકારના મંત્રી મંડળમાં અનેક ફેરફાર થવાના સંકેતો મળી રહ્યાં છે. આ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દિલ્હી જઇને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. સુરતમાં ભાજપે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે CR પાટીલ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ મીડિયા સમક્ષ સી.આર.પાટીલ અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ગુનાનો જેમ વ્યાપ વધારે તેમ તેનું પદ પણ મોટું. રાજકારણમાં અપરાધીકરણ શિખવું હોય તો ભાજપ પાસેથી શિખવું જોઇએ. 107 ગુના નોંધાયા હોવાનું સી.આર. પાટીલે લોકસભામાં ફોર્મમાં જાહેર કર્યું હતું. દારૂની હેરાફેરીમાં સી.આર. પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દારૂકાંડમાં એમની ધરપકડ પણ થઇ હતી. ઓક્ટ્રોયના કેસમાં પણ ધરપકડ થઇ ચૂકી છે. ડાયમંડ જ્યુબિલી બેંકના કૌભાંડમાં ધરપકડ થઇ હતી. 94 કરોડના કૌભાંડમાં ધરપકડ થઇ હતી. GIDCની 6 કરોડની જમીન લીધા બાદ રૂપિયા નથી આપ્યા.
ભાજપના આગેવાનો અને ગુજરાતની અસ્મિતાનું અપમાનઃ મોઢવાડિયા
મોઢવાડિયાએ ભાજપના નેતાઓ પર આરોપો લગાવતા કહ્યું કે, ઉત્તરપ્રદેશના કેશવપ્રદાસ મોર્ય, યેદિયુરપ્પા તો બ્રાન્ડેડ ભ્રષ્ટાચારી, રેડી બ્રધર્સ આખા દેશના માઇનિંગ માફિયા, રાજસ્થાનના કેન્દ્રીય મેઘવાલ પર બળાત્કારનો આરોપ, વ્યાપમ કૌભાંડમાં શિવરાજિસંહ, અમિત શાહ અને હવે સી.આર. પાટીલને એજ પરંપરામાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. રાજ્યના મુખ્યમંત્રીએ તો એમ કહ્યું કે, આગામી 2022ની ચૂંટણી અમે સી.આર.પાટીલની આગેવાનીમાં લડવાના છીએ. આ ભાજપના આગેવાનો અને ગુજરાતની અસ્મિતાનું અપમાન છે.