બજેટને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 2014 બાદ અત્યાર સુધીના બજેટમાં ફક્ત વાતો થઇ સરકારે 55 લાખ કરોડનું દેવું વધાર્યું છે અને ચૂંટણી આવી એટલે સરકારને મધ્યમ વર્ગ યાદ આવ્યું છે
બજેટને લઈ કોંગ્રસના પ્રહાર
"બજેટમાં મોંઘવારી,રોજગારીને લઈ કશું જ નથી"
"આ બજેટ ફક્ત કર્ણપ્રિય બજેટ હતું"
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે રજૂ કરેલા બજેટને લઈ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે બજેટને ભારતને વિશ્વગુરુ, આત્મનિર્ભર બનાવે તેવું ગણાવ્યું હતું. તેમણે કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને રાજ્યનું બજેટ બનશે તેમ પણ કહ્યું હતું. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ બાદ વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી બજેટને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.
બજેટને લઈ અમિત ચાવડાના પ્રહાર
બજેટ પર વાત કરતા અમિત ચાવડાએ કહ્યું કે, આ બજેટ ફક્ત કર્ણપ્રિય બજેટ હતું. ફક્ત સાંભળવું ગમે એવું બજેટ છે. 2014 બાદ અત્યાર સુધીના બજેટમાં ફક્ત વાતો થઇ સરકારે 55 લાખ કરોડનું દેવું વધાર્યું છે. ચૂંટણી આવી એટલે સરકારને મધ્યમ વર્ગ યાદ આવ્યું છે.
પાક્કા મકાનો પર પોલિટિક્સ
અમિત ચાવડાએ કહ્યું કે, 2022 સુધી દેશમાં તમામ લોકોને પાકા મકાનોનું વચન હતું. 2012માં પાકા મકાનનો વાયદો હતો પણ આજે પણ પાક્કા મકાનો નથી મળ્યું. બજેટમાં મોંઘવરીને કાબુમાં લેવાનું કોઈ આયોજન નહી. રોજગારીની કોઈ વાત નથી. ફક્ત ચૂંટણી લક્ષી બજેટ છે.
'ગુજરાતના યુવાનો સાથે ખીલવાડ થયું'
અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ગુજરાતના યુવાનો સાથે ખીલવાડ થયું અને પેપરકાંડ મામલે સરકારે એક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. પેપરકાંડ મામલે કોંગ્રેસે વિધાનસભાના 1 દિવસના વિશેષ સત્રની માગ કરી હતી.