આગામી લોકસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ એડિચોટીનો જોર લગાવી રહી છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં અભિયાનો ચલાવવામાં આવે છે. જોકે કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે આજે આપણે તાલુકા અને જિલ્લા પંચાયતની વાત કરીશું. 2015માં કોંગ્રેસમાં સભ્યોએ બળવો કરતા પાટણ મહિસાગર ભાવનગર અમદાવાદ અને દાહોદ જિલ્લા પંચાયત કોંગ્રેસને ગુમાવવી પડી હતી. પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 8 સભ્યોએ બળવો કરતા ભાજપને 19 મત મળ્યા હતા. ભાજપે 19 મતો સાથે જિલ્લા પંચાયત કબ્જે કરી હતી.
તો બીજ તરફ મહિસાગર જીલ્લામાં કોંગ્રેસના 4 સભ્યોએ બળવો કરતા સત્તા ગુમાવવાનો વારો આવ્યો. કોંગ્રેસ પાસે 16 સભ્યો અને ભાજપ પાસે 12 સભ્યો હતો. જોકે કોંગ્રેસના 4 સભ્યોએ ભાજપને સમર્થન આપતા ભાજપે જિલ્લા પંચાયત કબ્જે કરી. લુણાવડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 5 સભ્યોએ બળવો કર્યો હતો. કોંગ્રેસના 5 સભ્યોએ બળવો કરીને ભાજપ તરફી મતદાન કર્યુ. જેથી ભાજપની જીત થઈ હતી. પક્ષ તરફથી બળવો કરનાર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તો આ તરફ ભાવનગરમાં પણ કોંગ્રેસ સભ્યોના કારણે સત્તા ગુમાવી. જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 23 અને ભાજપ પાસે 17 બેઠકો હતી. જોકે કોંગ્રેસના 3 સભ્યોએ બળવો કરતા કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવાતા ભાજપે સત્તા બનાવી.
આ ઉપરાંત અમદાવાદમાં પણ કોંગ્રેસના સભ્યોએ બળવો કર્યો હતો. કોંગ્રેસના 6 સભ્યો પક્ષથી નારાજ હતા. જેના કારણે તેમણે ભાજપને સમર્થન આપ્યું. કોંગ્રેસના સમર્થકોનો સાથ મળતા ભાજપની જીત થઈ. દાહોદમાં જિલ્લા પંચાયતના 9 સભ્યોએ મતદાનમાંથી ગેરહાજર રહ્યા હતા. જેના કારણે ભાજપની જીત થઈ હતી.