આસામમાં ઓલ ઈન્ડીયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસ ટૂંક સમયમાં કોમન મિનિમમ કાર્યક્રમ બહાર પાડવા જઈ રહી છે.
સરકારી સહાયતા પ્રાપ્ત મદરેસાને નિયમિત સ્કૂલમાં ફેરવી નાખવાના ભાજપ સરકારના નિર્ણયને તેમાં સામેલ કરવો કે નહીં તે અંગે કોંગ્રેસ અવઢવમાં
રાજ્ય સરકારના આ ગેરબંધારણીય નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે
રાજ્યમાં એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
સરકારી સહાયતા પ્રાપ્ત મદરેસાને નિયમિત સ્કૂલમાં ફેરવી નાખવાના ભાજપ સરકારના નિર્ણયને તેમાં સામેલ કરવો કે નહીં તે અંગે કોંગ્રેસ અવઢવમાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર આસામ કોંગ્રેસ એકમના ઘણા નેતાઓનું એવું માનવું છે કે આ પ્રકારના મુદ્દા પર ભાર મૂકવાથી ભાજપને ધ્રુવીકરણનો લાભ મળશે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રિપુન વોરાએ જણાવ્યું કે રાજ્ય સરકારના આ ગેરબંધારણીય નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે અને ગઠબંધનની પ્રસ્તાવિત સમન્વ સમિતિમાં પણ ચર્ચા થશે.
રાજ્યમાં હાલમાં વિપક્ષી દળની ભૂમિકા નિભાવી રહેલી કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ સમદાયની વચ્ચે જનાધાર રાખનાર એઆઈયુડીએફની ઉપરાંત ડાબેરી પક્ષો તથા રાજ્યની પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. રાજ્યમાં એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ગઠબંધનનો વિસ્તાર થશે
રિપુન વોરાએ જણાવ્યું કે ભાજપ સરકારને ઘરભેગી કરવા તથા આસામના વિકાસ માટે છ દળો ભેગા થયા છે અને પ્રાદેશિક પક્ષો સાથે પણ વાતચીત ચાલી રહી છે અને ગઠબંધનનો વિસ્તાર થવાની આશા છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં અમે કોમન મિનિમમ પ્રોગ્રામ બહાર પાડીશું. સીએએ,એનઆરસી, આસામને વિશેષ રાજ્યનો દરજ્જો, આસામને કેન્દ્ર સરકાર તરફથી 90-10 ના રેશિયામાં પૈસા મળતા નથી, રાજ્યના હાલના જાહેર એકમોનું ખાનગીકરણ અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલા બીજા મુદ્દે સહમતિ સધાઈ છે.
ભાજપને ધ્રૂવીકરણનો લાભ આપતા માગતા નથી
તેમણે કહ્યું કે સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે. આ વ્યવસ્થા અંગ્રેજોના સમયથી ચાલી આવી રહી છે. કોર્ટમાં તેને પડકાર આપવામાં આવશે. સમન્વય સમિતિમાં પણ ચર્ચા થશે. અમારી કોશિશ છે કે એઆઈયુડીએફ સાથે ગઠબંધન કરવાને કારણે એવા કોઈ મુદ્દા ન ઉઠાવવા જોઈએ જેને કારણે ભાજપને ધ્રુવીકરણનો લાભ મળે.