મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ગુરુવાર સવારે કોંગ્રેસ કાર્ય સમિતિ CWC ની બેઠક સોનિયા ગાંધીના નિવાસ સ્થાને યોજાય. બેઠક બાદ પાર્ટીના દિગ્ગજ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસ કાર્ય સમિતિ CWC બેઠકમાં આજે ચર્ચા કરવામાં આવી અને હવે શું પગલા લેવાની જરૂર છે. અમે હવે બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે આગળ વધીશું.
કોંગ્રેસ CWC બેઠકમાં શિવસેના સાથે સરકાર બનાવાને લઇને લીલીઝંડી
જ્યારે બીજી તરફ વેણુગોપાલે કહ્યું કે અમે CWC ના સભ્યોને મહારાષ્ટ્રની હાલની રાજકીય પરિસ્થિતિથી અવગત કરાવ્યાં. જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને કોંગ્રેસ NCP ની બેઠક આજે ફરી મળશે. તેમ છતાં મને લાગે છે કે આવતી કાલે મુંબઇમાં કદાય આ અંગે નિર્ણય લેવાશે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવસેના સાથે સરકાર બનાવાને લઇને કોંગ્રેસ કાર્ય સમિતિ CWC માંથી લીલી ઝંડી મળી ગઇ છે.
મહારાષ્ટ્રમાં ૨૪ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદથી સતત જારી રાજકીય વિવાદ હવે સમાપ્ત થતો દેખાય રહ્યો છે. ગઈ કાલે NCP અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની લાંબી બેઠક બાદ રાજ્યમાં ટૂંક સમયમાં સરકાર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, હવે NCP આગામી બે દિવસ સુધી શિવસેના સાથે વાતચીત કરશે.
આ દરમિયાન NCP ફરીથી રોટેશન ફોર્મ્યુલા હેઠળ મુખ્યપ્રધાન પદ ૨.૫-૨.૫ વર્ષ સુધી વહેંચવાની માગણી કરશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, NCP - કોંગ્રેસ અને શિવસેના વચ્ચેના ગઠબંધનમાં સૌથી મોટો મુદ્દો 'હિન્દુત્વ' વિરુદ્ધ 'સેક્યુલર' અંગે પણ અટવાઈ ગયો હતો, જેનું હવે નિરાકરણ આવી ગયું છે.
ઉચ્ચસ્તરીય સૂત્રોના કહેવા મુજબ, NCP - કોંગ્રેસની બેઠકમાં રોટેશનલ મુખ્યપ્રધાનના મુદ્દે સહમતિ સધાઈ હોવાના અહેવાલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કાર્યકાળના પહેલાં અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યપ્રધાન રહેશે. ત્યારબાદ એનસીપીના મુખ્યપ્રધાન બનશે. બીજી તરફ, નાયબ મુખ્યપ્રધાન પદ કોંગ્રેસને મળશે. ત્રણેય પક્ષોના ધારાસભ્યોની સંખ્યાના આધારે પ્રધાનપદ આપવામાં આવશે. આ અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, સળંગ પાંચ વર્ષ સુધી શિવસેનાના મુખ્યપ્રધાન હોય તો તેમાં કોંગ્રેસને કોઈ વાંધો નથી.
દરમિયાન, કોંગ્રેસ - NCP ના વરિષ્ઠ નેતાઓ આજે સતત બીજા દિવસે દિલ્હીમાં શરદ પવારના નિવાસ સ્થાને બેઠક કરશે. આજે બંને પક્ષ દ્વારા સરકાર રચવા અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે. ત્યારબાદ આવતી કાલે શુક્રવારે મુંબઈમાં શિવસેના, કોંગ્રેસ અને NCP ના નેતાઓની એક અગત્યની બેઠક મળશે. સૂત્રોનો દાવો છે કે, આ બેઠક બાદ મહારાષ્ટ્રમાં સરકાર રચવાની અંતિમ ફોર્મ્યુલા અને ગઠબંધન વિશે માહિતી આપતી સંયુક્ત ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
NCP અને કોંગ્રેસની બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામને પણ અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. હવે તેના પર મંજૂરીની મહોર મારવાની જ બાકી છે. શિવસેનાએ કોંગ્રેસે નક્કી કરેલા કોમન મિનિમમ પ્રોગ્રામ પર અંતે પોતાની સંમતિ આપી દીધી છે અને એનસીપી-કોંગ્રેસ વચ્ચે પણ તમામ એટકેલા મુદ્દાઓ પર સમાધાન થઈ ગયું હોવાથી હવે મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો રસ્તો સાફ થયો છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત ભાજપ પર આકરા પ્રહારો અને કટાક્ષ કરવાના ચાલુ રાખ્યા છે. આજે સવારે પણ તેમણે ટ્વિટ કરીને ઈશારામાં ભાજપ પર તીર છોડ્યાં હતાં. સંજય રાઉતે લખ્યું કે, 'હમ બૂરે હી ઠીક હૈં, જબ અચ્છે થે તબ કૌન સા મેડલ મિલ ગયા થા..!!' સંજય રાઉત તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી સતત સરકાર બનાવવાનો દાવો કરે છે અને ભાજપ પર નિશાન સાધતા હોય છે.