ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી થાય અને પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસનું હાઇકમાંડ કોંગ્રેસથી નારાજ હોવાનું સામે આવ્યું છે.
ઢીલા પ્રદર્શનથી નારાજ કોંગ્રેસ હાઈકમાન્ડ
ફોર્મ-મેન્ડેટની ભૂલો-ગેરશિસ્ત અંગે હાઇકમાન્ડે રિપોર્ટ માંગ્યો
પાર્ટી વિરૂદ્વ કામ કરનાર સામે પગલાં ભરાશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઢીલા પ્રદર્શનથી નારાજ કોંગ્રેસ હાઈકમાન્ડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઢીલા પ્રદર્શનના કારણે કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટીના નબળા મેનેજમેન્ટના કારણે ગુજરાતમાં બે નગરપાલિકા તો બિનહરીફ જ ભાજપના ખાતે જતી રહી છે. જ્યાં એક તરફ પંજાબમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ ફોર્મમાં ભૂલો અને ઢીલા પ્રદર્શનના કારણે ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓ પાછળ પડતાં દેખાઈ રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી ભાજપની જીત આસાન કરી
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા ફોર્મમાં ભૂલો કરવામાં આવી જેના કારણે ઘણા નેતાઓના ફોર્મ રદ થઈ ગયા. આ સિવાય ઘણા નેતાઓએ ઉમેદવારી પત્ર તો ભર્યા પણ છેલ્લી ઘડીએ પરત ખેંચી લીધા અને ભાજપ માટે રસ્તો સરળ બની ગયો. આ મુદ્દે હવે હાઇકમાન્ડ દ્વારા રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
ચૂંટણીના પરિણામ બાદ લેવાઇ શકે છે પગલા
જોકે હવે આ બધા મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ સફાળું જાગ્યું છે અને પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકો સામે તવાઈની શક્યતા દેખાઈ રહી છે. ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાના સંકેત મળ્યા છે. નોંધનીય છે કે આ પહેલા VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ મુદ્દે ખૂલીને નિવેદન આપ્યું હતું.
શું કહ્યું હતું હાર્દિક પટેલે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પોતાનું એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. જોકે આ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથબંધીને લઈને અનેક આરોપો લાગ્યા હતા ત્યારે VTV ન્યૂઝ સાથે વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના કાર્યવારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટીના અમુક નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બધુ જાણે છે : હાર્દિક પટેલ
નોંધનીય છે કે કોંગ્રેસમાં વિરુદ્ધમાં કામ કરનારાઓનું લીસ્ટ તૈયાર હોવાનો દાવો પણ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું હતું કે પાર્ટીને બદનામ કરનારા ઘણા લોકો પાર્ટીમાં છે અને ભાજપની ખેતીને લીલીછમ રાખવાનું કામ કોંગ્રેસના જ કેટલાક ગદ્દાર નેતાઓ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં ગદ્દારો કોણ છે તેની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જાણ છે અને પાર્ટી હાઇકમાન્ડ બધુ જ જાણે છે.
સત્તા આવે કે ના આવે જનતાની સેવા કરીશું : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે પાર્ટીની વિરુદ્ધ જે કામ કરી રહ્યા છે તેમની સામે પગલા લેવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્તર પર પાર્ટીના નેતાઓ ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. જોકે તેમણે કહ્યું કે આપણે લડવું હોય તો જનતાની સેવા કરવી જ પડશે. તેમણે કહ્યું કે સત્તા આવે કે ન આવે જનતા સેવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે.