સામાન્ય ચૂંટણીના સમાપન આડે હવે માત્ર એક તબક્કાનું મતદાન બાકી છે ત્યારે કોંગ્રેસે જો બહુમતી નહીં મળે તો ગઠબંધન થશે એવા સંકેત આપી દીધા છે. કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે જો ગઠબંધનમાં તેમને પીએમનું પદ નહીં મળે તો પણ કોઈ વાંધો નહીં રહે. આમ, હવે પીએમના પદ વગર પણ કોંગ્રેસ ગઠબંધન સરકારમાં સામેલ થવા તૈયાર ગઈ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું છે કે કોંગ્રેસનો એક માત્ર હેતુ એનડીએને કેન્દ્રમાં વધુ એક વખત સરકાર રચતાં રોકવાનો છે. અમે અગાઉ પણ અમારું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂક્યા છે. કોંગ્રેસ પક્ષ અંગે સહમતી સધાશે તો નેતૃત્વનો સ્વીકાર કરીશું, પરંતુ અમારું લક્ષ્ય હંમેશાં એનડીએ સરકારની સત્તામાં વાપસી રોકવાનું રહેશે. અમે સર્વાનુમતે જે નિર્ણય લેવાશે તેની સાથે જઈશું.
કોંગ્રેસના મહામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી અમને પીએમપદ ઓફર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે કંઈ કહીશું નહીં અને પીએમપદની જવાબદારી કોઈ પણ દ્વારા સંભાળવામાં આવશે તો અમે તેની સામે વાંધો ઉઠાવીશું નહીં. ગુલામનબી આઝાદે આ અગાઉ પણ ગોરખપુર ખાતે જણાવ્યું હતું કે આ વખતે દેશમાં પરિવર્તન આવશે. ભાજપની સરકાર કેન્દ્રમાં હવે રહેશે નહીં. સમગ્ર દેશ અને રાજ્યમાં ભાજપ હારી રહ્યું છે. કેન્દ્રમાં આ વખતે બિનભાજપ સરકાર બનશે.
થોડા દિવસ પૂર્વે કપિલ સિબ્બલે સ્વીકાર્યું હતું કે કોંગ્રેસને બહુમતી મળવાનો ચાન્સ નથી. કોંગ્રેસને પોતાની તાકાત પર બહુમતી મળવાની તક નથી, પરંતુ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનની સરકાર બની શકે છે અને હવે ગુલામનબી આઝાદે પણ જણાવ્યું છે કે સર્વસંમિતથી જે નિર્ણય લેવાશે તેની સાથે કોંગ્રેસ જશે.