કોંગ્રેસ દ્વારા ચૂંટણીને એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ વખતે દેશભરના કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ ગજવશે
ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટીવ મોડમાં
કોંગ્રેસે પ્રચંડ પ્રચારની રણનીતિ ઘડી
દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું રાજકીય સમીકરણ બગડ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટીવ મોડ પર આવી ગયું છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચંડ પ્રચારની રણનીતિ ઘડી છે.
કોંગ્રેસ પાર્ટી બૂથ સુધી ખૂબ સક્રિય થઈને કરી રહી છે કામઃ હિંમતસિંહ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી ખૂબ સારી ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી બૂથ સુધી ખૂબ સક્રિય થઈને કામ કરી રહી છે.
દેશભરના કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ ગજવશે
તેમણે જણાવ્યું કે, આ વખતે દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, ભૂપેશ બાંધેલ, કમલનાથ, ભૂપિન્દરસિંહ હુડા, રાજીવ શુકલા, રણદિપસિંહ સુરજેવાલા, સચીન પાયલોટ, મુકુલ વાસનિક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં પ્રચાર કરશે.
આ ઉપરાંત જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, જીગ્નેશ મેવાણી, ભરતસિંહ સોલંકી, સામ પિત્રોડા, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ, ડો.તુષાર ચૌધરી, પરેશ ધાનાણી, કદીર પીરજાદા રેલી અને સભા સંબોધવાથી લઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર અને પ્રસાર કરશે.
કોંગ્રેસ દ્વારા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો
સૌરાષ્ટ્રના 2017ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કરવા કોંગ્રેસ દ્વારા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ અંગે જણાવતા કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો માહોલ બનાવવા માટે આવતી 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર' નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લલિત કગથરા, અંબરીશ ડેર અને ઋત્વિજ મકવાણાની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 28 તારીખે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો એકઠા થશે.
'ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર' નામથી આ યાત્રાનું આયોજન
તેમણે જણાવ્યું કે, રેસકોર્સ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ પર હારતોરા કરીને અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર હારતોરા કરીને આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જે બાદ આ યાત્રા ખોડલધામ જશે, જ્યાં જૂનાગઢ, જેતપુર, ધોરાજીના કોંગ્રેસના કાર્યકરો ખોડલધામ આવશે. જ્યાં રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પોતાની રેલી સ્વરૂપે ખોડલધામ મંદિરે આવશે. મંદિર ખાતે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
ખોડલધામથી ગાઠીલા અને ગાઠીલાથી સીદસર
લલિત કગથરાએ જણાવ્યું હતું કે, જે બાદ આ યાત્રા જેતપુર અને જૂનાગઢ સિટીમાં થઈને ગાઠીલા ઉમિયા માતાજીના મંદિરે પહોંચશે. જ્યારે બપોરે જમણવાર કરવામાં આવશે. ગાંઠીલા મંદિરના ટ્રસ્ટીઓ અને પ્રમુખો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ આ યાત્રા માણવદરથી ઉપલેટા થઈને સીદસર જશે. એક દિવસનો આ કાર્યક્રમ છે. સંપુર્ણ તાકતથી કોંગ્રેસના કાર્યકરો આ યાત્રામાં જોડવાના છે.
કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ઘરે ઘરે પહોંચશે, કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પ્રત્રિકાનું વિતરણ કરશે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે. રાજ્યમાં 52 હજાર બુથ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના આઠ વચન સાથેના નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી છે.