રાજ્યસભાની ચૂંટણીને પહેલા કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા હતા. જેને લઇને કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે હવે રાજીનામું આપેલ એક પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડીયા પોતાના નિવાસ સ્થાન ચલાલા પહોંચી ચૂક્યા છે. તેમણે હાલ કેટલાક મોટા ખુલાસા કર્યા છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય જે.વી કાકડીયાએ કર્યો મોટો ખુલાસો
જે.વી કાકડીયા પોતાના નિવાસ સ્થાન ચલાલા પહોંચ્યા
રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપનારા કાકડિયા સામે નારાજગી
ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર પાંચેય સભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય સામે અમરેલીમાં વિરોધનું વંટોળ સર્જાયું છે. ધારી પંથકના ગામડાઓમાં કાકડીયા વિરૂદ્ધ બેનરો લાગ્યા છે. મતોના સોદા કરનારે ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા છે. ગામડાના લોકોએ જે.વી કાકડીયા હાય હાયના નારાઓ લગાવ્યા છે. ત્યારે હવે ધારાની ધારાસભ્ય જે.વી કાકડિયા પોતાના નિવાસ સ્થાન ચલાલા પહોંચ્યા છે. અહીં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો છે. ત્યારે કાકડીયાએ કોંગ્રેસ પાર્ટી સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસને કહેવા છતા પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામું આપ્યું છે.
ભરતસિંહે રાજીનામા મુદ્દે સંમત્તિ આપી હતીઃ કાકડિયા
પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડિયાએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, રાજીનામું આપતા પહેલા ભરતસિંહ સોલંકી સાથે વાત થઇ હતી. પાટીદારને ટિકિટ ન મળતા રાજીનામાની વાત કરી હતી. 15 ધારાસભ્યોના રાજીનામાની ભરતસિંહ સાથે વાત થઇ હતી. ભરતસિંહે રાજીનામા મુદ્દે સંમત્તિ આપી હતી. વધુમાં કાકડિયાએ કહ્યું કે, પૈસા લેવાની મારે જરૂર નથી. મારી પાસે 200 વિઘા જમીન છે. મતદારો કહેશે તો ભાજપમાં જઇશ, મતદારો કહેશે તેમ કરીશ અને મતદારો કહેશો તો આગામી ચૂંટણી લડીશ.
મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપનારા કાકડિયા સામે નારાજગી જોવા મળી રહી છે. ધારીના છતડીયા અને કુબડા ગામોમાં બેનરો લાગ્યા છે. વેચાયેલો માલ ગામમાં ન પ્રવેશેના ગ્રામજનોએ સુત્રોચ્ચારો કર્યા છે.