પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે અજય રાય મેદાનમાં ઉતર્યા છે. બાહૂબલિ કહેવાતા અજય રાય 2014ની લોકસભા ચૂંટણીમાં ત્રીજા નંબર રહ્યા હતા. પહેલા એવી ચર્ચાઓ હતી કે વારાણસીમાં મોદી સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. પરંતુ આ ચર્ચાઓનો આખરે અંત આવ્યો અને અજય રાયને કોંગ્રેસ ટિકિટ ફાળવી.
કોણ છે અજય રાય ? અને શું છે તેમનો ઈતિહાસ ?
વારાણસી લોકસભા બેઠક પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવી અટકળો પર કોંગ્રેસ બ્રેક લગાડી દીધી છે. આખરે ફરી એકવાર વારાણસીના રણમેદાનમાં અજય રાયને ઉતાર્યા છે. 2014માં પણ કોંગ્રેસે અજય રાયને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે વખતે અજય રાય પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ અજય રાય પર ખેલેલો દાવ કેટલો કારગર નિવડે છે તે સમય કહેશે.
અજય રાજની રાજકીય કારકિર્દી?
અજય રાય વારાણસીમાંથી ધારાસભ્ય રહી ચુક્યા છે. અજય રાયે પોતાના રાજકીય જીવનની શરૂઆત વર્ષ 1996માં કરી હતી. શરૂઆતમાં ભાજપના ઉમેદવાર બની ઉત્તરપ્રદેશમાં રાજકીય સફર શરૂ કરી હતી. પ્રથમ વખત ભાજપની ટિકિટ પર યુપી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને તેમાં વિજય પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ અજય રાયે ભાજપમાંથી રાજીનામું આપી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અજય રાય 2009માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ જીતી શક્યા ન હતા. લોકસભા ચૂંટણીમાં હાર મેળવ્યા બાદ અજય રાયે સમાજવાદી પાર્ટીને પણ રામ રામ કહી દીધા હતા. કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસમાં સામેલ થયા બાદ 2012માં ફરી તેઓ ધારાસભ્ય બન્યા હતા.
ત્યારબાદ 2014માં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા હતા. 2014માં અજય રાયે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી બાહરી એટલે કે બહારના છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને ભગોડા કહ્યા હતા. જો કે આ તમામ દાવ તેમને કામ આવ્યા ન હતા. તેમને માત્ર 75 હજાર જ મત મળ્યા હતા.
વારાણસીથી પ્રિયંકાને ઉતારવા પર પૂર્ણ વિરામ
તો મોદી સામે પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરશે તેવી પણ અટકળો ચાલતી હતી. પ્રિયંકા ગાંધી થોડાક દિવસ પહેલા પૂર્વાંચલ માટે લોકસભા ચૂંટણી અભિયાન પ્રયાગરાજથી વારાણસી સુધી કર્યું હતું. આ દરમિયાન તેઓ ગંગા નદીમાં બોટના સહારે પહોંચ્યા હતા. રસ્તામાં આવતા મંદિર અને મઝાર પર માથું ટેકવ્યું હતું. ગંગા કિનારે વસેલા ગામડાઓમાં લોકો સાથે સંવાદ કરી કાશી પહોંચ્યા હતા. જે રીતે વારાણસીમાં પ્રિયંકાએ નરેન્દ્ર મોદી સામે પ્રહાર કર્યા અને સવાલો ઉભા કર્યા. તેને લઈ એવી એટકળો ચાલતી હતી કે મોદી સામે પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરી શકે છે. એટલું જ નહીં પ્રિયંકાએ ખુદ રાયબરેલીમાં લોકોને કહ્યું હતું કે જો પાર્ટી મને ટિકિટ આપે તો હું વારાણસીથી લડવા તૈયાર છું. આ બધા નિવેદનોથી એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસ પ્રિયંકાને મેદાનમાં ઉતારશે. પરંતુ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વારાણસીથી પ્રિયંકાને ઉતારવા પર પૂર્ણ વિરામ મુકી દીધું.
વારાણસીના જ્ઞાતિગત સમિકરણ
વારાણસી લોકસભા બેઠક પર સાતમા તબક્કામાં મતદાન થશે. વારાણસીમાં જ્ઞાતિગત સમિકરણોને જોઈએ તો બ્રાહ્મણ, વૈશ્ય અને કુર્મી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. લગભગ 3 લાખ વૈશ્ય, અઢી લાખ કુર્મી, અઢી લાખ બ્રાહ્મણ, ત્રણ લાખ મુસ્લિમ, એક લાખ 30 હજાર ભૂમિહાર, એક લાખ રાજપૂત, 1 લાખ 75 હજાર યાદવ, 80 હજાર ચૌરસિયા, એક લાખ દલિત અને એક લાખ જેટલા અન્ય OBC મતદારો છે. વારાણસી ભાજપની પરંપરાગત બેઠક રહી છે. 2014 સુધી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી ચૂંટાતા હતા. પરંતુ 2014માં જોશીની જગ્યાએ નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા હતા. મુરલી મનોહર જોશીને કાનપુરથી ચૂંટણી લડ્યા હતા.