ખેડૂતના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસે ટ્રેક્ટર સાથે 30 જૂને ગાંધીધામથી ખેડૂત સંવેદના યાત્રા શરૂ કરી હતી. જે આજે ગાંધીનગર જવાની હતી પરંતુ તે પહેલા જ પોલીસે સંવેદના યાત્રાને રોકી દીધી છે.
સંવેદના યાત્રાને રોકી પોલીસે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની સાથે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી છે. ખેડૂત સંવેદના યાત્રામાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ભાજપ સરકાર પર કૌભાંડ કરવાનો આક્ષેપ કરાયો.
કોંગ્રેસે કહ્યું કે, સરકાર પાસે જવાબ ન હોવાથી અટકાયત કરવામાં આવી છે. અમે સબૂત સાથે ગાંધીનગર જઇ રહ્યા હતા. ત્યારે પોલીસે કહ્યું કે, સંવેદના યાત્રાની મંજૂરી નથી લેવામાં આવી જેથી કાયદાનો ભંગ કરતા તેમની અટકાયત કરાઇ છે. જેમાં 20 ટ્રેક્ટર અને 50 લોકોની અટકાયત કરી છે.
તો આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ખેડૂતોનો અવાજ દબાવે છે. અને એટલે જ સાણંદના ખેડૂતોની રેલી અટકાવી દીધી છે. ઉપરાંત બજેટને લઇ કહ્યું કે, આજે સરકાર બજેટમાં ખૂબીઓ બતાવશે પરંતુ તેમા અનેક ખામીઓ હશે. અમે બેટી સલામત બને તે માટે અવાજ ઉઠાવીશું.