લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા માટે લોકોએ દર્શાવેલી કંજુસાઈની માનસિકતા દૂર કરવા માટે ગો ટુ ધી પીપલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના કર્યો હાથ ધરવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી એ નક્કી કર્યું છે. ઉપરાંત પક્ષમાં જ રહીને કોંગ્રેસની ઘોર ખોદનારા લોકો સામે ત્વરિત અને કડક પગલાં લેવાનો ઠરાવ કારોબારી એ પસાર કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મળેલી કારોબારીની બેઠક બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકસભામાં મળેલી હારના કારણોની ચર્ચા કરવામાં આવી ઉપરાંત ભાજપને મળેલી લીડ અને EVM પર પણ મોટા ભાગના લોકોએ શંકા વ્યક્ત કરી પરિણામે આ બંને બાબતે સંશોધન કરવાનું નક્કી કરાયું છે.
લોકસભામાં મળેલા જનાદેશ પરથી એવું જણાવ્યું છે કે કોંગ્રેસની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવાની આવશ્યકતા છે. પરિણામે આગામી દિવસોમાં ગો ટૂ ધી પીપલ કાર્યક્રમ શરૂ કરાશે.
લોકો સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવા માટે અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ તાલુકા કક્ષા સુધીનો પ્રવાસ કરશે. હારના કારણોની ચર્ચામાં સંગઠનમાં કેટલીક રહેલી ક્ષતિઓ પણ ઉજાગર થઇ હતી. પરિણામે સંગઠનને પણ મજબૂત કરવામાં આવશે.
બીજી તરફ ભાજપ પર પ્રહાર કરતા ચાવડાએ જણાવ્યું હતું કે ગોડસેની વિચારધારા વાળા શાસકો સામે કોંગ્રેસ લાંબી લડાઈ રહશે.