જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 અને 35A હટાવવા અને પૂનર્ગઠનના મુદ્દા પર કોંગ્રેસ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી. એક મળતાં અહેવાલ મુજબ મીડિયા વિભાગના અધિકારીક વ્હોટસઅપ ગ્રુપમાં પાર્ટીના પ્રવક્તાઓ વચ્ચે પક્ષ અને વિપક્ષમાં ચર્ચા થઇ રહી છે.
કોંગ્રેસમાં કેટલાંક નેતાઓ વિરોધ કરી રહ્યાં છે ત્યારે કેટલાંક તેના વિરોધના કારણે રાજકીય નુકસાન થવાની ભીતિ સેવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીમાં કેટલાંક નેતાઓ વિરોધના સૂરને લઇને નારાજ જોવા મળી રહ્યાં છે. જો કે હાઇકમાન્ડના વલણને લઇને ચૂપકિદી સેવી રહ્યાં છે.
મોદી સરકારના સમર્થનમાં કોંગ્રેસની યુવા બ્રિગેડ
કોંગ્રેસ ભલે જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 હટાવવા અને જમ્મૂ-કાશ્મીરમાં પૂનર્ગઠન બિલનો ભારે વિરોધ કરી રહી હોય પરંતુ પાર્ટીના કેટલાંક નેતાઓ પાર્ટી લાઇનથી હટીને નિવેદન આપી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના કેટલાંક યુવા નેતાઓ પણ સામેલ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડા અને મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ મિલિન્દ દેવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસના મોટા નેતા જનાર્દન દ્વિવેદીએ નિર્ણયને આવકાર્યો
રાજ્યસભામાં એક બાદ એક બિલ પાસ થઈ રહ્યા છે. કાશ્મીરના વિકાસમાં રોડો બનતો કાયદો 370 હટી જતાં દેશમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. કેટલાંક રાજકીય પક્ષો આ બિલ પાસ થતા નારાજ છે. જ્યારે કોંગ્રેસ પણ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી.
કોંગ્રેસમાં આ બિલને લઈને વિરોધ છે. જ્યારે તેમના જ કેટલાંક નેતાઓ બિલનું સમર્થન પણ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે, શરીરનું અંગ ક્યારેય જુદુ ના હોઈ શકે.