કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે લખીમપુર ખીરી હિંસા કેસ સંદર્ભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને ઘટનાની હકીકતો સાથે સંબંધિત મેમોરેન્ડમ રજૂ કરશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, આ પાર્ટીનું પ્રતિનિધિમંડળ સવારે 11.30 કલાકે રાષ્ટ્રપતિને મળશે
પ્રતિનિધિમંડળમાં કોનો સમાવેશ થશે?
રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના આ સાત સભ્યોના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
26 ઓક્ટોબરે ખેડૂતો લખનૌમાં મહાપંચાયત યોજશે
બીજી બાજુ લખીમપુર હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની ધરપકડ બાદ ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે.રાકેશ ટિકૈતે કહ્યું છે કે, જ્યાં સુધી અજય મિશ્રા તેમના પદ પર રહેશે ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ શક્ય નથી. સાથે જ તેમણે રાજીનામું નહીં આપે તો આંદોલનની વાત કરી છે. રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે, “જો કેન્દ્રીય મંત્રી રાજીનામું નહીં આપે તો અમે અહીંથી આંદોલનની જાહેરાત કરીશું. લખનૌમાં આ અંગે એક મોટી પંચાયત હશે. " લખીમપુર કેસમાં રાકેશ ટિકૈતે પોતાની યોજના વિશે જણાવ્યું હતું કે હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોની રાખ દેશના દરેક જિલ્લામાં જશે અને લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે.