કોંગ્રેસમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત વિવાદોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આંતરિક વિખવાદને ડામવા માટે કોંગ્રેસે 8 સભ્યોની એક હાઇપાવર કમિટીની રચના કરી છે. જેમાં અર્જુન મોઢવાડિયા સિદ્વાર્થ પટેલ તુષાર ચૌધરી નરેશ રાવલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થઇ શકે છે.
આ કમિટીમાં પૂર્વ પ્રમુખ અને વિરોધપક્ષનાં પૂર્વ નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનું મુખ્ય કાર્ય પક્ષનાં સંગઠનનાં પ્રશ્નો અને આંતરિક બાબતોમાં નિર્ણય કરવાનો રહેશે તેમજ લોકસભાની ચૂંટણીમાં ટીમ કોંગ્રેસ તરીકે આ કમિટી કામ કરશે. જો કે મહત્વનું છે કે અમિત ચાવડાએ રચેલી આ કમિટીને લઇ તેઓ આવતી કાલે દિલ્હી જશે અને પસંદ કરાયેલાં નામોને ધ્યાને રાખી આ વિવાદને લઇને આખરી ઓપ અપાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ઘટવાને બદલે વધુ વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી છે ત્યારે કોંગ્રેસ માટે આંતરિક કલેહ વધી રહ્યો હતો. ત્યારે કોંગ્રેસી નેતાઓ નારાજ હોવાંને કારણે દિલ્હીથી અલ્પેશ ઠાકોર સહિત અમુક નેતાઓને ગઇ કાલનાં રોજ તેડું પણ આવ્યું હતું. આ નારાજ નેતાઓમાં વધુ બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પણ સમાવેશ કરાયો હતો.
મહત્વનું છે કે પક્ષમાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાનાં કાર્યકરોની અવગણનાને લઈને ધવલસિંહ ઝાલા નારાજ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તે મને માન્ય રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં નારાજ નેતાઓની યાદીમાં પહેલેથી જ અલ્પેશ ઠાકોરનું નામ તો અગ્રેસર છે. આવામાં હવે ધવલસિંહ ઝાલાનું નામ પણ ઉમેરાઈ જતાં ગુજરાત કોંગ્રેસ સહિત હાઈ કમાન્ડનું ટેન્શન પણ વધવા લાગ્યું.
ગ્યાસુદ્દીન શેખે પણ પક્ષ સામે વ્યક્ત કરી હતી નારાજગીઃ
અગાઉ ગ્યાસુદ્દીન શેખનાં નિવેદને પણ કકળાટનાં હવનમાં ઘી નાંખવાનું કામ કર્યુ હતું. કોંગ્રેસમાં નારાજ નેતાઓને લઈને ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યાં હતાં. ત્યારે વીટીવીની ટીમ સાથે વાત કરતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારી વાતમાં અર્થનો અનર્થ થઈ રહ્યો છે. સિનિયરોએ સન્માન સાથે આગળ વધવું જોઈએ.
5થી 7 નેતાઓ એવું માનતા હોય છે કે પાર્ટીનાં માલિક છે તો તે ખોટું છે. હાલમાં કોંગ્રેસની સારી સ્થિતિ ચાલી રહી છે. કોંગ્રેસમાં જુનિયર અને સિનિયર નેતૃત્વ એક સાથે રહે છે. સાથે જ તેઓએ એમ જણાવ્યું હતું કે નેતાનાં કારણે પાર્ટી નહીં પરંતુ કાર્યકરોનાં કારણે પક્ષ ચાલે છે.
અલ્પેશ ભાજપમાં જોડાશે તેવાં પણ સમાચારો થયાં હતાં વહેતાં:
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાનાં સમાચાર અગાઉ વહેતાં થયાં હતાં. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવીને OBC આંદોલનને પૂર્ણ વિરામ આપવાનો દાવ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ એવી માહિતી મળી હતી કે અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાની વાતને નકારી હતી અને તે અફવા હોવાનું જણાવ્યું હતું.
જો કે અવાર નવાર અલ્પેશ ઠાકોરની કોંગ્રેસનાં કાર્યક્રમોમાં ગેરહાજરી પણ જોવાં મળી રહી હતી. ત્યાર બાદથી અલ્પેશ ઠાકોર ભાજપની ટોચની નેતાગીરી સાથે સંપર્કમાં હોવાની ચર્ચા વહેતી થઇ હતી. જેને લઇને અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે મારી ભાજપમાં જોડાવાની વાત એ અફવા છે અને મને જાણી જોઇને ટાર્ગેટ કરાયો છે.