મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે મ્યુનિ. કોંગ્રેસમાં ફરી કકળાટ સર્જાયો છે. મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્માને બદલી નવા નેતા નીમવાની માગણી પક્ષના ૩૩ કોર્પોરેટરોએ કરતાં મ્યુનિ. કોંગ્રેસ કાર્યાલયમાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભડકો
પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સમક્ષ નેતા બદલવા અસંતુષ્ટ કોર્પોરેટરો દોડી ગયા
ટૂંક સમયમાં યોજાવાની છે મનપાની ચૂંટણી
મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્માની નિમણૂક સમયે ભારે વિવાદ ઊઠ્યો હતો. કોંગ્રેસના ચાર ધારાસભ્ય પૈકી બે ધારાસભ્ય દિનેશ શર્માના સમર્થનમાં અને બે ધારાસભ્ય વિરુદ્ધમાં જતાં પ્રદેશ હાઇકમાન્ડ પણ દિનેશ શર્માને બદલવાના મામલે મૂંઝવણમાં મુકાયું હતું. હવે જ્યારે સામાન્ય ચૂંટણીનાં ઢોલ વાગી રહ્યાં છે ત્યારે ફરી નેતા બદલવાની માગણી ઊઠી છે.
33 કોર્પોરેટરોએ નેતા બદલવાની કરી માગણી
કોંગ્રેસના કોર્પોરેટર રણિજત બારડ, જગદીશ રાઠોડ, સપના તોમર, નૂતન ચૌહાણ, બળદેવ દેસાઇ, ઇલાક્ષી પટેલ, રાજુ ભરવાડ, પલક પટેલ, યશવંત યોગી, શાંતાબહેન પંચાલ, નીલા બારોટ, મધુકાંતા લેઉવા, પદ્મા બારોટ, છાયા સોનવણે, રમીલા પરમાર, જે.ડી. પટેલ, કમળા ચાવડા, કમરુદ્દીન પઠાણ, રહીમ સુમરા, નફીસા અન્સારી, જમના વેગડા, આફરીન પઠાણ, ઇકબાલ શેખ, દેવેન્દ્ર વીસનગરી, સહેજાદખાન પઠાણ, રોશન વહોરા, સમીર પઠાણ, અબ્દુલ મજીદ અને રૂખસાના ઘાંચી વગેરે કોર્પોરેટરોએ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને નવા નેતાની નિમણૂક કરવાની રજૂઆત અંગે આવેદનપત્ર આપ્યું હતું, જોકે હમણાં તો રાજીવ સાતવે આ અસંતુષ્ટ કોર્પોરેટરની માગણી પર ઠંડું પાણી રેડ્યું છે.