કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી રાહુલ ગાંધી નારાજ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના સીએમ કમલનાથને અલ્ટીમેટમ આપ્યું છે. કોંગ્રેસે વરિષ્ઠ નેતાઓને પરિવારનો મોહ છોડીને પક્ષ માટે સર્કીય રહેવા માટે સૂચના આપી છે.
સૂત્રોનું માનીએ તો વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કમલનાથે પાર્ટીથી વધુ પોતાના દીકરાને મહત્વ આપ્યું અને તેને જીતાડવા માટે જ ધ્યાન આપ્યું. જો કે એવું પણ સામે આવી રહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ તેને ટિકિટ નહોતા આપવા માગતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છતા હતા કે આ નેતાઓ પ્રચાર અભિયાનમાં મોટી ભૂમિકા નિભાવે. જોકે કમલનાથના દીકરા નકુલનાથ છિંદવાડાથી ચૂંટણી જીતી ગયા. જ્યારે રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોત જોધપુરથી ચૂંટણી હારી ગયા. રાહુલ ગાંધીએ વારંવાર કહ્યું કે ગેહલોતે એક સપ્તાહ સુધી માત્ર જોધપુરમાં જ પ્રચાર કર્યો હતો.
આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું કોઈ જ કામ ન કર્યું. અશોક ગેહલોતે 130થી વધુ રેલીઓ અને રોડ શો કર્યો. જેમાં 93 રેલીઓ માત્ર જોધપુરમાં જ કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભા 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પક્ષની CWCમાં રાહુલ ગાંધીએ દિગ્ગજ નેતાઓના નામ લીધા વગર પુત્ર મોહને લઇને આકરા પ્રહાર કર્યા હતા.