હાલ ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. આ ત્રણ દિવસીય શિબિરમાં કેટલાય મોટા નિર્ણય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
ઉદયપુરમાં કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર
કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તન થશે
આ શિબિરમાં કેટલાય મોટા નિર્ણય લેવામાં આવ્યા
હાલ ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. આ ત્રણ દિવસીય શિબિરમાં કેટલાય મોટા નિર્ણય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કોંગ્રેસ સોશિયલ એન્જીનિયરીંગ ફોર્મ્યુલા અંતર્ગત કામને આગળ વધારતા સંગઠનમાં મોટા પાયે અનુસૂચિત જાતિ, અનુસૂતિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને અલ્પસંખ્યકોને 50 ટકા પ્રતિનિધિત્વ આપી શકે છે.
કોટાની અંદર મળશે કોટા
કોંગ્રેસના નવસંકલ્પ ચિંતન શિબિરના માધ્યમથી પાર્ટીએ મહિલા અનામત સંદર્ભમાં કોટાની અંદર કોટા વિષય પર ફેરફાર કરવાના સંકેત આપ્યા છે. શિબિરમાં કહેવાયું છે કે, કોંગ્રેસ હવે સંસદ તથા વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવાની સાથે સાથે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના સમુદાયની મહિલાઓની અલગથી અનામત આપવાના પક્ષમાં છે.
સામાજિક ન્યાય સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે
આ સમિતિના સભ્ય રાજુએ પત્રકારોને જણાવ્યું હતું કે, "સંસ્થાકીય સુધારા કરવા જોઈએ કે, કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી કરીને પક્ષ નબળા વર્ગોને મેસેજ આપી શકે." અમે પ્રયાસ કરીશું કે, આ સમુદાયોને લાગે કે કોંગ્રેસ તેમના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, એક પ્રસ્તાવ એવો પણ આવ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ હેઠળ સામાજિક ન્યાય સલાહકાર સમિતિની રચના કરવામાં આવે, જે સૂચવે છે કે, આ વર્ગોનો વિશ્વાસ જીતી શકાય તે માટે કયા પગલાં ભરવા જોઈએ.
વિભાજન કેવી રીતે થશે તે જાણો
રાજુએ કહ્યું, 'કોંગ્રેસનું બંધારણ SC, ST, OBC અને લઘુમતીઓને 20 ટકા અનામત આપે છે. જૂથે નિર્ણય કર્યો છે કે, SC, ST, OBC અને લઘુમતી સમુદાયોને બ્લોક કમિટીથી લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટિ સુધીની તમામ સમિતિઓમાં 50 ટકા પ્રતિનિધિત્વ આપવું જોઈએ. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે, આ સમુદાયોનું પ્રતિનિધિત્વ વધારીને 50 ટકાથી વધુ કરવું જોઈએ, જો કે હાલમાં તેને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
G- 23 નેતાઓની માગણી સાંભળવામા આવશે, મનાવી લેવાશે
આ ઉપરાંત આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ સૌથી મોટો પડકાર એક એ હતો કે, પોતાના નારાજ વરિષ્ઠ નેતાઓને કેવી રીતે મનાવવા.
અહીં નોંધનીય છે કે, એક સૂત્ર દ્વારા માહિતી મળી છે કે, આ ચિંતન શિબિરમાં G23 ના તમામ નેતાઓ જેમ કે, ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, શશિ થરૂર, મનીષ તિવારી અને અખિલેશ પ્રસાદ સિંહને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને કપિલ સિબ્બલ સિવાયના તમામ નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ચિંતન શિબિર દરમિયાન ખૂબ જ ખુલ્લા મનથી ચર્ચાઓ પણ કરવામાં આવી છે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ઘણો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ બધું લોકશાહી રીતે થયું જે એક સ્વસ્થ પરંપરા સ્થાપિત કરે છે. તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે G23 દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓને યોગ્ય રીતે સંબોધવામાં આવી રહ્યા છે.
ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં છ અલગ-અલગ ગ્રુપમાં આગેવાનો વિવિધ વિષયો પર ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી રવિવારે 'નવા ઠરાવ'ના રૂપમાં આ ચર્ચાના પરિણામને મંજૂરી આપશે.