અમરેલી લોકસભા બેઠક પર ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણી આજે અમરેલી લોકસભા બેઠક પર ફોર્મ ભરવા માટે જશે. મહત્વનું છે કે કોંગ્રેસે હજુ સુધી પરેશ ધાનાણીનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.
તો બીજી તરફ પરેશ ધાનાણીએ માતાના આશીર્વાદ લઈને સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં વિરજી ઠુમ્મર, જે.વી. કાકડીયા, પ્રતાપ દૂધાત, અમરીશ ડેર સભા સ્થળે પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉમટ્યા છે.
સભા સંબોધ્યા બાદ પરેશ ધાનાણી ઉમેદવાર ફોર્મ ભરવા માટે જશે. ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યું કે જે ગુજરાતે 26 બેઠક પર જીત અપાવીને ભાજપને કેન્દ્રમાં સત્તા અપાવી હતી. તે જ જનતા આજે ભાજપથી નારાજ છે. 2019માં 26 બેઠક પર કોંગ્રેસનો વિજય થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ અમરેલી લોકસભાની બેઠકને લઈને મુંઝવણમાં હતી. અમરેલી બેઠકને લઇ 4 ઉમેદવારોમાં આંતરિક વિરોધ જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે, કોંગ્રેસના વર્તમાન 3 ધારાસભ્યો દ્વારા ટિકિટની માગ કરવામાં આવી હતી. જેમાં જે.વી કાકડિયા, પ્રતાપ દૂધાત અને વિરજી ઠુમ્મર લોકસભાની ટિકિટની માગ કરી રહ્યા હતા. ત્યારે કાર્યકર્તાઓએ પરેશ ધાનાણીને ટિકિટ મળે તેવી માગ કરી હતી. જેને લઇને પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિવાદ બાદ હાઈકમાન્ડ દ્વારા પરેશ ધાનાણીની પસંદગી કરાઇ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. ત્યારે હવે કોંગ્રેસ સત્તાવાર નામની જાહેરાત કરશે.