પેટાચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ ગયા બાદ આજે કોંગ્રેસના ઉમેદવારો કુલ 6 બેઠકો પરથી ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ફોર્મ ભરતા પહેલાં પણ ઉમેદવારોએ લોકહિતના કામ કરવાનું વચન આપ્યું છે. તેમને આશા છે કે ફરી તેઓ જ વિજયી બનશે.
રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટક્કર આપશે કોંગ્રેસના રઘુ દેસાઈ
21 ઓક્ટોબરે થશે મતદાન, 24 ઓક્ટોબરે મતગણતરી
જાણો કઈ બેઠકો પરથી કોણ ભરશે ઉમેદવારી ફોર્મ
ગુજરાત કોંગ્રેસે ભારે હિંમત કરી ભાજપ પહેલા જ પેટાચૂંટણીના ચાર બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમા થરાદ, લુણાવાડા, અમરાઇવાડી અને બાયડ બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બાયડ બેઠક પરથી જશુભાઇ પટેલ, અમરાઈવાડી બેઠક પર ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ અને થરાદ બેઠક પર ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત ઉમેદવાર છે. અન્ય બે બેઠકોમાં રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ધર્મેન્દ્ર પટેલ- અમરાઈવાડી
એક સમયે ધર્મેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના નજીકના ગણાંતા હતાં. આનંદીબેન UP રાજ્યપાલ બન્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. ધર્મેન્દ્ર પટેલ SPGમાં સક્રીય રહ્યાં છે. કોંગ્રેસે તેમને અમરાઇવાડી બેઠક પર ટિકિટ આપી છે. ધર્મેન્દ્ર પટેલ અમરાઇવાડીમાં ઉમિયા પરિવાર સંગઠન ચલાવે છે. આજે તેઓએ ફરીથી ફોર્મ ભર્યું છે.
ગુલાબસિંહ ચૌહાણ- લુણાવાડા
ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસે લુણાવાડા બેઠક પર ટિકિટ આપી છે. એમણે મહિસાગર જિલ્લાના પંચાયતના સભ્ય છે. ગુલાબસિંહ લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસમાં જોડાયા હતા. ઓબીસી મતદારો પર તેમનું મોટું પ્રભુત્વ છે. આજે અહીંથી ફોર્મ ભરીને તેઓ વિજય મેળવી શકે છે.
જશુભાઈ પટેલ - બાયડ
બાયડ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે જશુભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને પક્ષના નેતાઓ લોકો પાસે જઈને લોક હિતના કામ કરવાના દાવા કરી રહ્યા છે અને જીતનો વિશ્વાસ પણ બતાવી રહ્યા છે.
રઘુ દેસાઈ - રાધનપુર
રાધનપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે કોંગ્રેસે માલધારી સમાજમાંથી રઘુ દેસાઈને ટિકિટ આપી છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર મેદાનમાં છે. જેથી અહીં ઠાકોર અને માલધારી સમાજના ઉમેદવાર વચ્ચે જંગ જામશે.
ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત - થરાદ
ગુજરાત પેટાચૂંટણી સંદર્ભે થરાદ બેઠક માટે કોંગ્રેસ ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂતને પસંદ કર્યા છે અને તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉલ્લેખનીય છે કે અહીં તેમને જૂવરાજ પટેલ સીધી ટક્કર આપશે.
બાબુજી ઠાકોર -ખેરાલૂ
ખેરાલુ બેઠક પર કોંગ્રેસે બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે. બાબુજી ઠાકોરને ગત વર્ષે પણ કોંગ્રેસે ટિકિટ આપી હતી. ત્યારે હવે ખેરાલુમાં બે ઠાકોર નેતા વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
ગુજરાતની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 24 ઓક્ટોબરે મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની 6 બેઠકો પરના કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની આ 6 બેઠકો પરના લોકોને જેની રાહ હતી તે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચૂકી છે અને તેઓએ ફોર્મ પણ ભરી દીધા છે.