કોંગ્રેસમાંથી રામ રામ કરીને ભાજપની શરણે જનારા અલ્પેશ ઠાકોરને હરાવવા આ વખતે કોંગ્રેસ કોઈ કસર બાકી રાખવા નથી માંગતી. ત્યારે પ્રશ્ન ઉઠે કે કોંગ્રેસમાં કોઈ એવો ઉમેદવાર છે ખરો જે આ બેઠક ભાજપના પલ્લુમાં જતી અટકાવી શકે? ત્યારે કોંગ્રેસ પાસે મા મા છમ્મ વડા જેવી સ્થિતિ છે. વળી થરાદમાં પણ દાવેદાર ઘણા છે પણ કોઈ ઠોસ દાવેદાર નથી.
થરાદ બેઠક પર ટિકિટને લઇ કોંગ્રેસ મૂંઝવણમાં
રાધનપુર બેઠક માથાનો દુખાવોઃ ગોવિંદજી ઠાકોર અલ્પેશનો જ સાથીદાર છે
થરાદમાં પીઢ નેતા માવજી પટેલ પણ દાવેદારીમાં
ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીમાં રાધનપુર અને થરાદ બેઠક ઉપર આ વખતે જોવા જેવી થશે. ભાજપમાંથી આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક ઉપરથી ચૂંટણી માટે ભાજપ તરફથી સત્તાવાર રીતે જાહેર નથી કરાયા પણ હાલ ઘાટ એવો છે કે, અલ્પેશે ખાલી કરેલી જગ્યા ઉપર ફરી અલ્પેશ બેસશે કે પછી અન્ય તે માટે જાત જાતની વાતો વહેતી થઈ છે. સામે પક્ષે કોંગ્રેસે કોને બેસાડવા એ માટે પણ કોંગ્રેસે ખાસ્સી કવાયત કરવી પડી રહી છે. થરાદમાં પણ સ્થિતિ એવી જ છે.
કોંગ્રેસ ઠાકોરને હરાવવા ઠાકોરની વ્યૂરહરચના ઘડી રહી છે
અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારવાની વ્યૂહરચના ઘડી રહી છે. આ માટે જો જગદીશ ઠાકોર ચૂંટણી લડવા માટે નહીં માને તો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારવાની કવાયત હાથ ધરાશે. શકે છે. ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય છે. જો પક્ષ કહે તો ગેનીબેન ઠાકોર પણ અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. પણ પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડીની રાહ જોઈ રહ્યું છે.
કોંગ્રેસ પાસે બીજુ નામ ગોંવિદજીનું
અલ્પેશ બાદ કોંગ્રેસ પાસે એક માત્ર ગોવિંદજી ઠાકોર સિવાય કોઈ મોટું નામ નથી રહ્યુ પણ ગોવિંદજી ઠાકોર એક સમયના અલ્પેશનો જ સાથીદાર છે એટલે પક્ષ એના ઉપર વિશ્વાસ મૂકવો કે ન મુકવો તેની અવઢવમાં છે.
થરાદમાં પણ કોંગ્રેસ પાસે દાવેદાર ઘણા પણ ઠોસ દાવેદારીનો અભાવ
થરાદ બેઠક પર ટિકિટને લઇ કોંગ્રેસ મૂંઝવણમાં છે. ટિકિટ માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ટિકિટ કોને આપવી તેને લઇ કોંગ્રેસ અસમંજસમાં છે. પીઢ નેતા માવજી પટેલ પણ દાવેદારીમાં છે. ઉપરાંત માંગીલાલ પટેલ, ડી.ડી. રાજપૂત, આંબા સોલંકી પણ રેસમાં છે. ત્યારે મળતી માહિતી મૂજબ કોંગ્રેસ મોવડી મંડળ સાથે નેતાઓ મુલાકાતો પણ કરી રહ્યાં છે. પરબત પટેલે ખાલી કરેલી જગ્યા ઉપર પટેલ જ ઉમેદવાર આવી શકે છે.
કઈ કઈ બેઠક પર કરવામાં આવી છે તારીખો જાહેર
રાજ્યની થરાદ, ખેરાલૂ, અમરાઇવાડી, બાયડ, રાધનપુર અને લુણાવાડા બેઠકની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે કુલ છ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.
ક્યારે થશે ચૂટણી
ચૂંટણીપંચે 7 બેઠકોમાંથી 6 બેઠકોની જાહેરાત કરી હતી જેમાં 21 ઓક્ટબરે મતદાન યોજાવાની જાહેરાત કરી હતી. 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 23 સપ્ટેમ્બરે પેટાચંટણીઓને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.