કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ પંજાને છોડી કમળમાં બેઠા છે. ભાજપમાં કેટલાય સમયથી કોંગ્રસના ધારાસભ્યોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના નેતાઓ પણ અંદરખાને આ વાતથી નારાજ છે, પરંતુ જાણે અજાણે તેઓ કોંગ્રેસ મુક્ત ભારત કરવા તરફ આગળ વધી રહ્યા છે તે સ્વભાવિક છે. જોઈએ પક્ષ બદલતી મૌસમનો આ અહેવાલ.
ભાજપમાં હાલ કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના ધારાસભ્યોને પદ મળતા નથી, અને ફાઈટર પ્લેનની જેમ કોંગ્રેસમાંથી ભાજપની સીટમાં બેસનારા કોંગી ધારાસભ્યોને રાતોરાત મંત્રી પદ મળી જાય છે. આ પહેલા કુંવરજી બાવળિયા પણ ભાજપમાં ભળી ગયા હતા અને તેઓ મંત્રી બની ગયા હતા. બાદમાં અલ્પેશ ઠાકોર પણ શું કરવું શું ન કરવું તે વિચારી રહ્યો છે, પરંતુ તે નિર્ણય લઈ શકતો નથી.
ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા બેન પટેલે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ ભરતીની મૌસમ આખરે કેમ આ રીતે ચાલી રહી છે. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પડકાર બાદ તેમને લાગી રહ્યું છે કે, તેમને લોકસભામાં બેઠકો ઓછી આવશે અને તે ભયના ઓથા હેઠળ તેઓ તમામ સમાજના નેતાઓને પોતાની બાજુ કરીને સમીકરણો સેટ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કુંવરજીને તેમને ભાજપમાં બેસાડીને કોળી મતદારોને ભાજપ તરફ કર્યા છે.
આશાબેનને પટેલોના સમીકરણ સેટ કરવા મહત્વના માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની મોટી મત બેંક હોવાના કારણે અલ્પેશને પણ ભાજપમાં ભેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હાલ તો જવાહર ચાવડા ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને તેમને કહ્યું કે, તેમને જૂના તમામ હિસાબ પૂરા કર્યા છે.
આમ ભાજપમાં જોડાયા બાદ જવાહર ચાવડાએ પણ સારીસારી વાતો કરી હતી. નવા પક્ષના વખાણ અને જુના પક્ષનો હિસાબ પુરો કરીને આવ્યા હોવાની વાત કરી હતી, પરંતુ જવાહર ભાઈ પોતાના ગોત્રમાં જ કોંગ્રેસ લઈને જન્મયા હતા. તે કદાચ સત્તાની લાલચમાં ભૂલી ગયા છે કારણ કે, તેમના પિતા ચુસ્ત કોંગ્રેસની વિચારધારા વાળા હતા અને તેમને પોતાના પુત્રનું નામ જવાહર પણ જવાહર લાલ નહેરુના નામ પરથી પાળ્યું હતું. તો હિસાબ કેવી રીતે પુરો થઈ શકે છે તે એક સવાલ છે.
જો કે કોંગ્રેસના ધારાસભ્યોને જોડવાની સિઝન હમણા ચાલશે કેમ કે, આગમી બે મહિનામાં લોકસભાની ચૂંટણ આવવાની છે. જો કે આ મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, પક્ષની વિચારધારાથી આકર્ષાતા તમામ સારા લોકોને પક્ષ આવકારશે..
આમ હાલ આ જામેલી મૌસમમાં જવાહરભાઈ જામી જશે કે કેમ તે તો આગામી સમય નક્કી કરશે, પરંતુ હાલ પ્રધાનમંત્રી અને ભાજપે જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોય અને તેની શરૂઆત ગુજરાતના હોમ ગ્રાઉન્ડથી થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તેઓ કોંગ્રેસ મુક્ત ભારત કરીને ભાજપ યુક્ત કોંગ્રેસ કરશે તે નક્કી છે, પરંતુ તેઓ કોંગ્રેસને નાબૂદ કરવાનું નક્કી કરી ચુક્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.