Exit poll નાં અનુમાન બાદ ઉત્તરાખંડ-ગોવામાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા નથી દેખાઇ રહી. ત્યારે કોંગ્રેસ રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યો માટે કેમ્પનું આયોજન કરે તેવી શક્યતા દેખાઇ રહી છે.
ઉત્તરાખંડ-ગોવામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં - એક્ઝિટ પોલ
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર
રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો માટે કેમ્પનું આયોજન થાય તેવી શક્યતા
એક્ઝિટ પોલના અનુમાન મુજબ, ઉત્તરાખંડ અને ગોવામાં કોઇ પણ પાર્ટી સ્પષ્ટપણે બહુમતી નથી હાંસલ કરી રહ્યું. ગોવા અને ઉત્તરાખંડને લઇને વધારે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આ સાથે આ બંને રાજ્યોની રાજધાનીઓમાં રાજનૈતિક દળોએ ચૂંટણી બાદના માહોલ માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ગોવામાં કોંગ્રેસના ઉમેદવારો અને પાર્ટીના નેતાઓ બુધવારનાં રોજ એટલે કે આજે એક હોટલમાં એકત્રિત થશે, જ્યારે પાર્ટી ઉત્તરાખંડમાં આવું જ કંઈક કરવાનું યોજના બનાવી રહી છે. મહત્વનું છે કે, તારીખ 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.
આ પહેલાં મંગળવારના રોજ કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાના વરિષ્ઠ નેતાઓને ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં તૈનાત કરી દીધાં છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર કે જેઓએ પહેલાં પણ અનેક વખત બહુમતના આંકડાથી પાછળ રહેવા પર પાર્ટી માટે સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી . ગોવામાં વિશેષ નિરીક્ષકો હશે. મહાસચિવ મુકુલ વાસનિક, છત્તીસગઢના વરિષ્ઠ નેતાઓ જેમાં ટીએસ સિંહ દેવ અને વિન્સેન્ટ પાલાને મણિપુર મોકલવામાં આવ્યાં છે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ અજય માકન અને પાર્ટીના પ્રવક્તા પવન ખેરાને પંજાબમાં તો રાજ્યસભાના સાંસદ દીપેન્દ્રસિંહ હુડાને દેહરાદૂનમાં તૈનાત કરી દેવામાં આવ્યાં છે.
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોનો રાજસ્થાનમાં કેમ્પ કરી શકે છે
આ પહેલાં કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે જયપુરની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ ગોવા અને ઉત્તરાખંડમાંથી પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં કેમ્પ કરાવે તેવી પૂરી સંભાવના છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ 2017 માં ગોવામાં 17 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ ભાજપે 13 સીટો જીતવા છતાં સરકાર બનાવી હતી. બાદમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 17થી ઘટીને 2 થઇ ગઇ હતી.
કૈલાશ વિજયવર્ગીયએ ઉત્તરાખંડમાં 2016 માં ખેલ કાઢ્યો હતો
ભાજપે તેના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયને ઉત્તરાખંડ મોકલી દીધાં છે, જેને કોંગ્રેસ પોતાની નજરે એક જોખમ તરીકે જોઈ રહી છે. કૈલાશ વિજયવર્ગીયએ 2016 માં ઉત્તરાખંડ કોંગ્રેસમાં ભારે તોડફોડ કરી હતી. કૉંગ્રેસના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે, “પાર્ટીના તમામ ધારાસભ્યો બુધવારે ઉત્તર ગોવાના એક રિસોર્ટમાં રોકાશે. ગુરુવારે ચૂંટણી પરિણામો આવતાની સાથે જ તમામ વિજેતા ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી જશે.'
એક દિવસ પહેલાં ગોવા માટે AICC ડેસ્ક ઇન્ચાર્જ દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે, ભાજપની "ગંદી ચાલ" ને નિષ્ફળ બનાવવા માટે પાર્ટી તેના ઉમેદવારોને એક સામાન્ય જગ્યાએ ખસેડવા અંગે નિર્ણય લેશે. જો કે, મંગળવારે પાર્ટીએ કહ્યું હતું કે, બુધવારની બેઠક માત્ર વરિષ્ઠ નેતા દિગંબર કામતના જન્મદિવસની ઉજવણી માટે છે. કોંગ્રેસે મંગળવારનાં રોજ બમ્બોલિમની એક હોટલમાં પોતાના ઉમેદવારો અને કાર્યકરોની એક બેઠક પણ યોજી હતી.
ગોવામાં કોંગ્રેસ માટેની રણનીતિ બનાવવામાં પી ચિદમ્બરમ જોડાયા
મથુરા દત્ત જોશીએ એમ પણ કહ્યું કે, જો જરૂરિયાત પડી તો પાર્ટી પોતાના વિજયી ધારાસભ્યોને 'સુરક્ષિત સ્થાન' પર સ્થળાંતર કરવા અંગે વિચારણા કરશે. આ સાથે જ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, તેઓ મતગણતરીના દિવસ માટે પાર્ટી કાર્યકર્તાઓને તાલીમ આપવા માટે ઉત્તરાખંડ આવ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીના ગોવાના ચૂંટણી પ્રભારી પી. ચિદમ્બરમે કહ્યું કે, અન્ય પક્ષો સાથે વાતચીતના રસ્તા ખુલ્લા છે. અમારો હેતુ ભાજપને સત્તામાં આવતા રોકવાનો છે, એ માટે અમે ભાજપ વિરોધી મોરચો બનાવવા પર કામ કરી રહ્યાં છીએ.
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પ્રમોદ સાવંત
આ પહેલાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીને મળ્યા બાદ તેમણે ટ્વિટ કર્યું હતું કે, "ગોવા વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપના મજબૂત પ્રદર્શન વિશે વડાપ્રધાનને જાણકારી આપી, જે અમને સરકાર બનાવવાની તક આપશે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અમે લોકોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખીશું."
ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ પણ મુંબઈમાં ઘડી રહ્યાં છે રણનીતિ
ભારતીય જનતા પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ મુંબઈમાં ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસને મળશે. ગોવા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમે સત્તા જાળવી રાખવા માટે "નક્કર વ્યૂહરચના" ઘડી છે. ગોવા બીજેપીના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, "અમે અમારા નેતાને નક્કી કરવામાં સમય નહીં બગાડીએ અને વહેલી તકે સરકાર બનાવવાનો દાવો રજૂ કરીશું." ગોવા અને ઉત્તરાખંડના એક્ઝિટ પોલમાં કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળતી નથી દેખાઈ રહી. તેમજ આજ દિન સુધી ઉત્તરાખંડમાં કોઈ પણ સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરીને સતત બીજી વાર સત્તામાં પરત નથી આવી.