ગુજરાતમાં 32 વિધાનસભા સીટ પર માછીમારી સમાજનો મોટો રોલ છે. ત્યારે ચૂંટણી પૂર્વે કોંગ્રેસે રૂ. 3 લાખથી લઇને રૂ. 50 લાખ સુધીના આર્થિક પેકેજને લઇને મોટી જાહેરાત કરી છે.
ચૂંટણી પૂર્વે માછીમારો માટે કોંગ્રેસની મોટી જાહેરાત
માછીમારો માટે શરૂ કરાશે માછીમાર આવાસ યોજના
માછીમારોના બાળકો માટે શરૂ કરાશે શિષ્યવૃત્તિની યોજના
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે માછીમારો માટે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'માછીમાર વસાહતો માટે માછીમાર આવાસ યોજના શરૂ કરાશે. જેમાં માછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ અને શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માછીમારો માટેની અલગ વસાહતો ઊભી કરાશે. એ સિવાય માછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિની યોજના પણ શરૂ કરાશે. જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ અને માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવાશે. દેશી વહાણો મારફતે આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોત્સાહન યોજના જાહેર કરાશે. તેમજ માછીમારી ક્ષમતાનો પૂરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માછીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા 'માછીમાર વિકાસ બોર્ડ'ની પણ રચના કરાશે.'
આ સિવાય પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોને છોડાવવા માટેના ઘનિષ્ઠ પ્રયાસો કરાશે. પાકિસ્તાનની જેલમાં રહેતા માછીમારના પરિવારને રૂ. 3 લાખનું પેકેજ આપીશું. તેમજ જ્યાં સુધી માછીમાર પાકિસ્તાનના કબજામાં રહે છે ત્યાં સુધી રોજના કુટુંબીજનોને 400 રૂપિયાની સહાય કરાશે. જ્યારે જેલમાં મૃત્યુ પામતા માછીમારોને રૂ. 10 લાખની સહાય કરાશે.
2004થી બંધ થયેલી સહકારી ધોરણે બોટ બાંધવાની NCDCની સહાય યોજના પણ ફરીવાર શરુ કરાવાશે. પરંપરાગત રીતે માછીમારી કરતા સમુદાયો/સમાજ માટે જીંગા ઉછેર ફાર્મ માટે જમીન ફાળવવામાં પણ અગ્રતા અપાશે. નવા માછીમાર બંદરો અને વર્તમાન માછીમાર બંદરોની ક્ષમતામાં વધારો કરવાની યોજના બનાવાશે. તદુપરાંત વિધાનસભામાં દરિયામાં ઔદ્યોગિક પ્રદૂષિત કચરો / પ્રદૂષિત પ્રવાહી છોડવા ઉપર પ્રતિબંધ લાવતો કાયદો પણ પસાર કરાશે.
માછીમાર ઉત્પાદનમાં વેલ્યુ એડીશન કરાશે
આ સાથે માછીમાર બંદરો ઉપર બોટ માલિકો માટે ગોડાઉન, વર્કશોપ માટે વિશાળ માછીમાર વ્યાપાર ઝોનની રચના કરાશે. સમુદ્રી તોફાનોમાં માછીમાર વ્યવસાયમાં થતા નુકસાન તેમજ બોટના નુકસાન સામે વળતર/વીમાની જોગવાઈ કરાશે. માછીમાર ઉત્પાદનમાં વેલ્યુ એડીશન કરાશે. મૂલ્ય વર્ધન માટે પ્રોસેસિંગ પ્લાન્ટોને અદ્યતન બનાવવા અને નવા પ્રોસેસિંગ પ્લાન્ટો સ્થાપવા માટે પણ આર્થિક સહાય અપાશે. માછીમાર ભાઈઓને મચ્છીનો પૂરતો ભાવ મળે અને શોષણ ના થાય તે માટે પોતાની મચ્છીનો સંગ્રહ અને પ્રોસેસ કરી શકે તે માટે સહકારી અને વ્યક્તિગત ધોરણે કોલ્ડ સ્ટોરેજ માટે પણ આર્થિક સહાય અપાશે.