રાજ્યમાં બાળકોના મોત મામલે કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા, અર્જૂન મોઢવાડિયા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના નેતાએ બાળકોના મોત મામલે આકરા પ્રહાર કર્યા છે. સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી છે.
30 દિવસમાં 57 બાળકોના મોતઃ ગેનીબેન
બાળકો મુદ્દે કોંગ્રેસ ક્યારેય રાજકારણ નથી કરતુઃ મેરજા
છેલ્લા 5 દિવસમાં 13 બાળકોના મૃત્યુ થયાઃ અશોક ડાંગર
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત મામલે રાજકારણ શરૂ થયો છે. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓએ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે દર્દીઓ અને ડૉક્ટર પાસેથી તમામ માહિતી મેળવી હતી.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બાળકોના મોત મામલે સરકારને નિષ્ફળ ગણાવી હતી. ત્યારે હવે બાળકોના મોત મામલે કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ ચોકમાં ધરણા કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસ દ્વારા બાળકોના મોત મામલે રાજકારણ કરવામાં આવતુ નથી. કોંગ્રેસ દ્વારા સરકાર સામે લડવામાં આવશે.
આરોગ્ય સુવિધાના અભાવે બાળકોના મોત થયાઃ ગેનીબેન
રાજ્યમાં થઈ રહેલા બાળકોના મોત મામલે ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, બનાસકાંઠામાં એક મહિનામાં 57 બાળકોના મોત થયા છે. ત્યારે તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં લોકોને જોઈએ તેવી સારવાર મળતી નથી. આરોગ્ય સુવિધાના અભાવના કારણે બાળકોના મોત થાય છે.
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે ગુજરાતનું આરોગ્ય તંત્ર બીમાર પડેલું છે. ગુજરાતમાં 41 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. દેશમાં દેશમાં 38 ટકા સરેરાશ કુપોષિત બાળકોમાં ગુજરાતના 41 ટકા બાળકો છે. સીએમના વિસ્તાર રાજકોટમાં 11 બાળકોના મોત ડિસેમ્બરમાં થયા હતા. ત્યારે સીએમ રૂપાણીએ સામેથી રાજીનામું આપી દેવુ જોઇએ. ભાજપની સરકાર મોટા ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે. બાળકોની ચિંતા કરી હોત તો આ સ્થિતિ ના હોત.