ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા એડીચોડીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે શહેરી વિસ્તારોના મજબુત બનાવવા માટે કોંગ્રેસ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઇ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી કોણે લડવી અને કોણે ન લડવી તે ઉમેદવારનો મત છે. પરંતુ સ્થાનિક લોકો જેનું નામ આપશે તેને જ ટિકીટ આપીશું. રાહુલ ગાંધી સ્પષ્ટ છે કે આ વખતે સ્થાનિક જ ચૂંટણી લડશે.
મહત્વનું છે કે આ બેઠકમાં તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરને જવાબદારી સોંપાશે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા અને મંથન કરાશે. સાથે જ આ બેઠકમાં અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
અગાઉ પણ અમદાવાદની લોકસભા બેઠક માટે પ્રભારી રાજીવ સાતવ અને પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં પ્રભારીએ દાવેદારોના નામની પેનલ માગી હતી. જોકે પેનલ ન આપતા ઉમેદવારોની પસંદગીમાં વિલંબ થયો હતો.
ત્યારે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવા મામલે પણ અમિત ચાવડાએ પ્રતિક્રીયા આપી હતી. તેમણે કહ્યું કે બાપુ હંમેશા સક્રિય રાજકારણીય રહ્યા છે. બાપુ જ્યાં જશે ત્યાં સક્રિય રહેશે.