પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યા બાદ રાજકોટની પ્રથમ મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરો ઈશારો કરી સી.આર પાટીલે કહ્યું હતું કે ટિકિટ મેળવવા એવું ન વિચારતા કે મુખ્યમંત્રી રાજકોટના છે તો ટિકિટ મળી જશે, આવો વહેમ પણ ન રાખતા. ભાજપ પ્રમુખ પાટીલે તો કોંગ્રેસ મુક્ત ભાજપ અને કોંગ્રેસ નેતાઓનાં ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો. જોકે આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સી.આર પાટીલને સલાહ આપતા કહ્યું હતું કે, ભાઉ બોલે તે પહેલા દિલ્હીથી મંજૂરી લઈ લે, તે ખાલી વાતો કરે છે તેમનું ચાલતું નથી.
ગુજરાતના ભાજપના પ્રમુખ પદે આવ્યા બાદ સી.આર. પાટીલે કરેલા બેફામ જાહેર નિવેદનોના કારણે સરકાર અને સી.આર.પાટીલ વચ્ચે આંતરિક વિવાદ ઉભો થયો હતો. એવી ચર્ચા સામે આવી હતી કે, આ અંગે ફરિયાદ છેક ગૃહમંત્રી અમિત શાહ સુધી પણ પહોંચી હતી. અમિત શાહે સરકાર અને સી.આર. પાટીલને સમજાવને પેટાચૂંટણીમાં લાગી જવા આદેશ કર્યા હતા. જોકે પાટીલે પક્ષ અને સરકાર વચ્ચે કોઇ મતભેદ ન હોવાની સ્પષ્ટતા કરી હતી. સી.આર પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્યોને ખરીદવાનું કામ અમારું નહીં. ત્યારબાદ કોંગ્રેસે કેટલાક કટાક્ષ કર્યા હતા. ત્યારબાદ સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ ન હોવાની વાત સી.આર પાટીલે કરી હતી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેવામાં હવે કોંગ્રેસે ભાજપ પર વળતા પ્રહાર કર્યા છે.
કંઈપણ બોલતા પહેલા દિલ્હી પૂછી લેજોઃ અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો માર્યો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અક્ષય પટેલે થોડા સમયપહેલા કબૂલાત કરી હતી કે 2019ની ચૂંટણી પહેલા તેમને 52 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા માટે ઓફર થઈ હતી. આ મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો માર્યો છે. અમિત ચાવડાએ સી.આર પાટીલને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, કશું પણ બોલતા પહેલા દિલ્હીમાં પહેલા પૂછી લેજો. કોંગ્રેસના લોકોને ટિકિટ નહીં આપવાની વાતો કરનારાઓનું કઇં ન ચાલ્યું. સી.આર પાટીલની કથની અને કરણીમાં ફરક છે. ભ્રષ્ટાચારથી લાવેલા રૂપિયાથી ધારાસભ્યો ખરીદવામાં આવે છે. 8 બેઠકો પર ગદ્દારોને પ્રજા પાઠ ભણાવશે. ભાજપે 52 કરોડની ઓફર કરી હોવાનું અક્ષય પટેલ પોતે સ્વિકારી રહ્યા છે.
સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી: સી.આર પાટીલ
ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી. પરેશ ધાનાણીને ટ્વીટ સિવાય બીજો કોઇ ધંધો નથી. કોંગ્રેસના શાસનમાં શું થતું તે સૌ કોઇ જાણે છે. કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઇને નહીં લેવાય. સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી. કંડારીના ગુરૂકુળમાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજાઈ હરતી. મધ્ય ગુજરાતના ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.