કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો છે કે, "ભાજપે કરોડો રૂપિયાનું ફંડ એવી કંપનીઓ પાસેથી લીધુ છે જેઓ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના સાથી ઈકબાલ મિર્ચીની સંપતી લે-વેચની સાંઠગાંઠમાં સંડોવાયેલી છે" તેમણે આ અંગે ટ્વિટ કરતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
રણદીપ સુરજેવાલે પોતાની ઓફિસીયલ ટ્વિટર પર કહ્યું કે, ‘ ફંડ (ચંદા) લેવામાં ભાજપનો કમાલ, કરોડો રૂપિયાનું ફંડ એવી કંપની પાસેથી લીધું છે જેના પર દાઉદ ઈબ્રાહિમના સાથી આતંકી ઈકબાલ મિર્ચીની સંપતિની લે-વેચની સાંઠગાંઠના આરોપ છે , શું આજ છે ખોટો 'રાષ્ટ્રવાદ', શું આ ‘દેશદ્રોહ' નથી અમિત શાહજી ’
અર્જુન મોઢવાડિયાની તીખી પ્રતિક્રિયા
સુરજેવાલ બાદ ગુજરાતના દિગ્ગજ કોંગી નેતા અર્જૂન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે ઇલેક્ટોરલ બોન્ડનો દુરપયોગ કર્યો છે. 2014ની ચૂંટણીમાં નાણાનો દુરપયોગ કરવામાં આવ્યો છે. ભાજપને 2014 -15માં RKW ડેવલપર્સ દ્વારા 10 કરોડનું દાન મળ્યું છે. RKW ડેવલપર્સ વિરુદ્ધ આતંકીઓને ફંડીંગ કરવાની તપાસ ચાલી રહી છે. RKW ડેવલપર્સના ઇકબાલ મિર્ચીની કંપની સાથેના સબંધોની પણ તપાસ ચાલી રહી છે. મોઢવાડિયાનો આરોપ છે કે ભાજપે ટેરર ફંડિગ સાથે સંકળાયેલી કંપની પાસેથી ફંડ લીધું છે. RKW કંપની સામે ED તપાસ કરી રહી છે. તેમજ દર્શન ઇન્ફ્રા-સનબ્લીગ પાસેથી 10 કરોડ મેળવ્યા છે.
ટ્વિટ કરીને અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપે દેશ સામે ગદ્દારી કરનાર પાસેથી નાણા લીધા છે. આ મામલે PM મોદીએ જાતે ખુલાસો કરવો જોઈએ. ભાજપ દેશહિત સાથે આટલી હદ સુધી કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. પ્રફુલ પટેલ-પવાર સામે ચૂંટણી સમયે મુદ્દો લવાયો હતો. મહારાષ્ટ્રની ચૂંટણીને લઇ ખોટી રીતે મુદ્દો લાવવામાં આવ્યો હતો.
ટ્વિટરમાં #PakistanFundsBJPનો ટ્રેન્ડ
ધ વાયરનાં ઘટસ્ફોટ બાદ સોશિયલ મીડિયામાં લોકોએ ભાજપની ખુબ આલોચના કરી હતી. સાંજના સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #PakistanFundsBJP ખુબ ટ્રેન્ડ થઇ રહ્યું હતું. ભાજપ પર હુમલો કરતાં લોકોએ માંગ કરી કે આ મામલે ભાજપનાં નેતાઓએ સામે આવીને જવાબ આપવા જોઈએ. ઘણા લોકોએ કહ્યું કે જે ભાજપ દેશભરમાં લોકોને દેશભક્ત થયાનું સર્ટીફીકેટ આપતી ફરે છે. તે જ ભાજપ પાકિસ્તાની આતંકવાદીઓ પાસેથી પૈસા લે છે. જેની સામે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ જ સ્પષ્ટતા કરી નથી.