રાજ્યમાં સતત કોંગો ફીવરનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. મોરબીમાં ગઇકાલે શંકાસ્પદ કોંગોથી અસરગ્રસ્ત 12 દર્દીઓમાંથી એકનું મોત થયું હતું. જો કે મોરબીમાં કોંગો ફીવર જોવા મળતાં રાજકોટ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ આરોગ્ય વિભાગ સાથે પશુપાલન વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
જેને લઇને આસપાસના ગામડાઓમાં તપાસ બાદ ઇતરડી નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોંગો બિમારીને લઇને હાઇરિસ્ક ઝોન જાહેર કરાયેલાં વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટના વિંછીયા અને ગોંડલ તાલુકામાં આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે. ગોંડલના શિવરાજગઢમાં કોંગો ફીવરના કેસો સામે આવ્યા હતા. પશુપાલકોને પણ કોંગો ફીવરને લઇને સમજણ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં કોંગોથી અસરગ્રસ્ત 12 દર્દીમાંથી એકનું મોત થયું હતું. શંકાસ્પદ કોંગો ફીવરમાં કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અમદાવાદની હોસ્પિટલમાં કામદારની સારવાર ચાલી રહી હતે તે દરમિયાન દર્દીનું મોત થયું હતું.
આસ્થા પોલીટેક નામની કંપનીના કામદારોમાં શંકાસ્પદ ફિવર થયો હતો. જેને લઇને દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક દર્દીનું મોત થયું હતું અને અન્ય 11 શ્રમિકોની રાજકોટ અને અમદાવાદમાં સારવાર ચાલી રહી છે.
આમ રાજકોટ જિલ્લામાં કોંગો ફિવરને લઇને તંત્ર હરકતમાં આવી ગયું છે. કોંગો ફિવરના 12 શંકાસ્પદ કેસ સામે આવતા તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવની પણ કામગીરી કરવામાં આવી રહી છે.
આ અગાઉ ભાવનગરમાં કોંગો ફિવરના લક્ષણ જોવા મળ્યાં હતા જેમાં ત્રણ દર્દીની સારવાર કરવામાં આવી હતી. જો કે કમળેજ ખાતે થોડા દિવસ અગાઉ કોંગો ફિવરથી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામમાં કોંગો ફિવરના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા.