ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસે સરકારને ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે ઘેરી હતી. ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઇ માટે પાણી મળે તેમજ વીજ પુરવઠો મળી રહે તે માટે કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. મહત્વનુ છે કે હવે ઉનાળો શરુ થયો છે ત્યારે પીવાના પાણી અને સિંચાઇના પાણી માટે ખેડૂતોએ મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખેતી કરવા માટે પાણી મળતુ નથી તેવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને રજૂઆત કરી હતી કે વીજળી અને સિંચાઇનું પાણી ખેડૂતોને સમયસર આપવામાં આવે,
સિંચાઈના પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર જવાબદાર-ગુલાબસિંહ
વિધાનસભામાં સિંચાઈ માટેની વીજળી અને પાણીનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠામાં સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલમાં પાણી આપવા રજૂઆત કરી હતી. તેઓએ આરોપ પણ લગાવ્યો કે સિંચાઈના પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર જવાબદાર છે. વધુમાં જણાવ્યું કે ચોમાસમાં પાક નિષ્ફળ ગયો છે ત્યારે ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવું જોઈએ. સરકાર એક મહિના સુધી ખેડૂતોને પાણી આપે. મહત્વનું છે કે આજથી વાવ, થરાદ, સુઇગામ અને ભાભરમાં કેનાલોમાં સિંચાઇનું પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતો પરેશાન થયા છે જેને કારણે વાવ-થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો આ રજૂઆત કરવામાં આવી હતી.
"બનાસકાંઠામાં વીજળીની કટોકટી સર્જાઈ"
કોંગ્રેસના ધારાસભ્યએ એમ પણ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં વીજળીની કટોકટી સર્જાઈ છે. સરકાર એક બે કલાક વીજળી આપે છે જેથી ખેડૂતો સિંચાઇ કરી શકતા નથી. આથી 8 કલાક સળંગ વીજળી આવામાં આવે તેવી માગ પણ કરી હતી.
ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને લખ્યો પત્ર
આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોને નિયમિત વીજળી આપવા અંગે ઉર્જામંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. તેઓએ પત્રમાં લખ્યુ હતું કે અનિયમિત વીજળી આપવાથી ખેડૂતોને નુકસાન થાય છે.સરકાર 10 કલાક વીજળી આપવાની વાતો કરે છે પરંતુ ખેડૂતો માત્ર 4 થી 5 કલાક વીજળી મળે છે. આથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોના પાક અને વીજ મીટરોને પણ નુકસાન થાય છે જેથી પુરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તેવી માગ કરી હતી.