નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ સ્થગિત કરવા મામલે કોંગ્રેસના ધારાસભ્યોની પ્રતિક્રિયા, આંદોલન તો ચાલુ જ રહેશે
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજક્ટ સ્થગિત
અમારુ આંદોલન ચાલુ રહેશે: જગદીશ ઠાકોર
'પ્રોજેક્ટ રદ્દ કર્યો હોય તો તેનું શ્વેત પત્ર આપે'
નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓના ભારે વિરોધ બાદ આખરે આ પ્રોજેક્ટ સ્થગિત કરાયો છે. મહત્વનું છે કે આદિવાસી વિસ્તારના ભાજપના ધારાસભ્ય, સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સિંચાઈ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જેમાં નર્મદા-પાર-તાપી લિંક યોજના રોકવાની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પણ કોંગ્રેસે સરકારે ઘેરીને આકરા પ્રહારો કર્યા.
'હાલ પુરતો નહી કાયમી સ્થગિત કરો'
આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત સી.આર પાટીલે નહી પરંતુ ભૂપેન્દ્ર પટેલે કરવી જોઇએ. તેઓએ આ મામલે સવાલો ઉઠાવતા જણાવ્યુ કે ભૂપેન્દ્ર પટેલ પાસે કે કેન્દ્રીય મંત્રી પાસે કોઇ સત્તા છે કે નહીં ? અમારુ આંદોલન તો ચાલુ જ રહેશે. તો વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપ્યુ કે આદિવાસી વિસ્તારની ખનીજ સંપત્તિ લૂંટવાનો ભાજપ પ્રયાસ કરે છે, આદિવાસીઓની અસ્મિતા નષ્ટ કરવાનો સરકાર પ્રયત્ન કરે છે. આ પ્રોજેક્ટ હાલ પૂરતો નહી પરંતુ કાયમી રદ થાય તેવી માંગ કરી હતી. વધુમાં એમ પણ જણાવ્યુ કે આદિવાસીઓના આંદોલનથી સરકાર ગભરાઇ ગઇ , રાજકીય લાભ ખાંટવા આ યોજનાને પડતી મુકાઇ છે.
'શ્વેતપત્ર નહી મળે ત્યાં સુધી લડાઇ ચાલુ'
તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ મામલે મોટું નિવેદન આપ્યુ. તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી શ્વેતપત્ર મળે નહિ ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે, ભાજપ વર્ષોથી આદિવાસી સમાજ સાથે અન્યાય કરે છે, ભાજપ આદિવાસીની જમીન અને જંગલ પડવાના કાવતરા કરે છે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે તાપી પાર પ્રોજેક્ટ રદ્દ ક્યો હોય તો તેનું શ્વેત પત્ર આપે, અમારુ પાણી નર્મદામાં લિંક કરીને અદાણી આપવાનો કારસો છે.
નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ રદ્દ
અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ગુજરાત ભાજપના આદિવાસી ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં આ પ્રોજેક્ટ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના મંત્રીઓ સહિત આગેવાનો આજે આદિવાસીઓ સાથે બેઠક કરવા માટે વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઇપણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સહકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી. ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ અને આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે