સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી આખાબોલા અને નિખાલસ આદમી હતા. અંદર જે હોય તે બહાર ઠાલવી નાખતા. પોતાનાં બીજાં પત્ની નંદિતા પુરી સમક્ષ તેમણે લગ્ન પહેલાંના પોતાના પ્રેમ અને સેક્સ સંબંધોની વાતો કરી હતી. મોટાભાગે પતિઓ આવું નથી કરતા હોતા પણ ઓમ પુરી ‘મોટા ભાગ’નામાં આવે તેવા નહોતા. નંદિતા પુરીએ પોતાના પતિ ઓમ પુરીના જીવન-કથન પર આધારિત પુસ્તક લખ્યું હતું. ઓમ પુરીએ જે વાતો વિશ્વાસથી તેમને કરી હતી એ વાતો તેમણે પુસ્તકમાં પ્રકાશિત કરી. તેનાથી ઓમ પુરી ભારે નારાજ અને દુઃખી થયા. ઓમ પુરી અને નંદિતા વચ્ચે જે નાનકડી તિરાડ હતી તે અચાનક વિકરાળ થઈ ગઈ અને બન્ને છૂટાં પડ્યાં. દીકરો નંદિતા પુરી પાસે રહ્યો. ઓમ પુરીનો જીવ પોતાના ‘સ્પેશિયલ ચાઈલ્ડ’માં હતો. છેવટે સ્થિતિ એવી થઈ કે દીકરાને મળવાની ઝંખનામાં જ તેમનો જીવ ગયો.
મૂળ વાત તરફ આવીએ તો ઓમ પુરીએ નંદિતા દાસને પોતાના લગ્ન પહેલાંના સેક્સ સંબંધોની વાતો કરીને ભૂલ કરી હતી? ઓમ પુરી જ્યારે 14 વર્ષના કિશોર હતા ત્યારે તેમણે 55 વર્ષની નોકરાણી સાથે પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. (આપ કી અદાલતમાં રજત શર્મા સાથે વાત કરતાં તેમણે આ અંગે કહ્યું હતું કે તેના માટે કોણ દોશી? 14 વર્ષનો બાળક કે 55 વર્ષની મહિલા?) તેમની મામી સાથે અડપલાં કર્યા તો તેમને ઘરમાંથી કાઢી મૂકાયા વગેરે વગેરે...
આ બધી વાતોને નંદિતા પુરીએ બાકાયદા પોતાના પુસ્તકમાં મૂકી દીધી. સ્વાભાવિક છે કે કોઈ પણ પતિ કે પુરૂષ તેનાથી નારાજ જ થાય. ઓમ પુરીએ પોતાની પત્નીને આ બધી વાતો છાપવા તો નહિં કહી હોય. અને એ પત્ની પણ કેવી કે પોતાના પતિની આવી વાતો છાપરે ચડીને દુનિયાને કરે. પોતાની સાથળ પોતે જ બતાવે?
લગ્ન પહેલાંનો પ્રેમ સંબંધ કે શરીર સંબંધ એક સ્વાભાવિક ઘટના હોઈ શકે. દરેકના જીવનમાં એવું ના પણ બન્યું હોય. (ઘણાં તો એવાં પણ હોય છે કે લગ્ન પછી પણ તેમને પ્રેમ જેવું કશું અનુભવાતું નથી!) મૂળ વાત એટલી છે કે લગ્ન પહેલાંના પ્રેમ સંબંધ કે સેક્સના અનુભવની વાત કેટલાં પતિ-પત્ની પોતાના જીવનસાથીને કરતાં હશે? ચોક્કસ જવાબ તો મળે જ નહિ પરંતુ અનુમાન કરી શકાય કે મોટા ભાગનાં પતિ-પત્ની આવું કરવાનું ટાળે. તેનું કારણ એ છે કે પતિ કે પત્નીથી આ બાબત સહન ન થઈ શકે. તેમાંય સ્ત્રી તો કદાચેય સહી લે પણ પુરૂષ પોતાની પત્નીને લગ્નપૂર્વે બીજા કોઈ સાથે સંબંધ હતો એ વાત સ્વીકારી ના શકે કે સહી ના શકે.
એક મોટા ગજાના સાહિત્યકારને નિખાલસ થવાનું મન થયું. એક ઢળતી સાંજે તેમણે પત્નીને લગ્નપૂર્વેના પોતાના પ્રેમ સંબંધની વાતની જિકર કરી. પત્નીએ વાત સાંભળી લીધી અને સાંજ ઢળીને રાત થઈ ગઈ. એ સાહિત્યકારના જીવનમાં થોડો સમય અંધારું જ રહ્યું. જ્યારે જ્યારે તક મળે ત્યારે પત્ની સર્જકને પેલો પ્રેમ સંબંધ યાદ કરાવે અને મ્હેણું મારે. તો આ છે માનસિકતા. એ છે જ. સદીઓથી છે. સ્ત્રી અને પુરૂષ બન્નેની આ માનસિકતા હોય છે.
અમારા ગામમાં ઘણા નિર્વાસિતો રહે. તેમાંથી એક યુવકનું લગ્ન થયું. લગ્નની પહેલી રાત્રે તેણે પોતાની પત્નીને અનાવરણ કરીને તેના ગળા પર છરી મૂકીને કહેલું કે લગ્ન પહેલાં જે જે ‘લફરાં’ કર્યાં હોય તે કહી દે. આજે માફ કરી દઈશ પછી જો ખબર પડશે તો જીવતી સળગાવી દઈશ. આ વાત એ યુવકે પાછો ગામના યુવાનોને ગૌરવથી કહેતો. સ્ત્રી અને પુરૂષ શરીર સંબંધ માટે એકબીજા તો પોતાની જાતને અનાવૃત કરી દે પણ મનથી કેટલાં થઈ શકે તે મોટો પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો એ પ્રશ્ન નથી પરિસ્થિતિ છે.
એક વૃદ્ધ મહોદયે સાવ ઢળતી વયે પોતાની પત્નીને કહ્યું કે મેં ભલે તારી સાથેનું લગ્ન વફાદારીથી ભલે નીભાવ્યું પણ મારા હૃદયમાં તો બીજું કોઈ હતું જ ! બોલો જેની સાથે 55-60 વર્ષ ગાળ્યાં હોય તે સાથી આવી કબૂલાત કરે ત્યારે એક સ્ત્રીના હૃદયમાં કેવો ખળભળાટ થાય? સાતની તીવ્રતાવાળા ધરતીકંપ કરતાં તેની તીવ્રતા સહેજે ઓછી ના હોય. ઘણાં પતિ-પત્ની વ્યવહારિક હોય છે. એક-બીજાની વાતો કરી લે અને સાંભળી લે પછી નક્કી કરે: જે થયું તે થયું. મુગ્ધતા હતી સહજ આકર્ષણ હતું. હવે આપણે એકબીજાનાં થઈને જ રહીશું. એકબીજાને ગમતાં રહીશું એકબીજાને સહેતાં રહીશું.
ઘણાં પતિ-પત્ની તો વળી એનાથી પણ અધિક વ્યવહારિક હોય છે. તેમને એક બીજાનો ભૂતકાળ ખોતરવાની જરૂર જ નથી લાગતી તો વર્તમાનમાં જીવવા માગે છે. તેઓ એકબીજાને સ્વતંત્રતા અને છૂટ આપીને કહે છે મને ફાવે એમ હું કરીશ તને ફાવે તેમ તું કર. આને તમે આધુનિકતા કહો વિશાળતા માનો સ્વતંત્રતાના ખાનામાં તેને મૂકો ઉદારતા તરીકે ઓળખાવો. ગમે તે કહો પણ કેટલાંક દંપતિ આવાં હોય છે. કેટલાંક એવાં પણ હોય છે કે જીવનભર એકબીજા પર શંકા જ કર્યા કરે. લગ્ન પહેલાં તેમને કેટલી બહેનપણીઓ હતી કે કેટલા બોયફ્રેન્ડ હતા તેની જ ચિંતા અને તપાસ કર્યા કરે.
લગ્નપૂર્વેનો પ્રેમ (જો સહજ રીતે થયો હોય અને સાચો હોય તો) એ ઘણી મોટી અનુભૂતિ છે. લગ્નપૂર્વેનો પ્રેમ સંબંધ કોઈપણ વ્યક્તિ માટે મોટી મૂડી હોય છે. ભલે મુગ્ધતામાં થયો હોય અણસમજમાં બંધાયો હોય ખબર ના રહી હોય કે ખબર ના પડી હોય તે રીતે રચાયો હોય તો પણ એ કાચો કુંવારો પ્રેમ સંબંધ હોય છે અને પાછો પહેલો પ્રેમ હોય છે. પહેલો પ્રેમ દરેક વ્યકતિ પછી એ સ્ત્રી હોય કે પુરૂષ પોતાના હૃદયના મંજૂસમાં જતનપૂર્વક સાચવી રાખતી હોય છે. જીવનમાં ક્યારેક બેચેની થાય ક્યારેક એકલતા લાગે મન ખિન્ન થઈ જાય સમજી ના શકાય તેવી ઉદાસી ચઢી આવે ખાલીપાથી હૃદય ભરાઈ જાય ત્યારે વ્યક્તિ પોતાના હૃદય મંજૂસને ધીમેથી ખોલીને સ્મૃતિપથ પર એક પછી એક પાછો પગલે ચાલે છે. બોલો આવા પ્રેમસંબંધની વાત સાથીદારને કહી દીધી હોય તો આવો રોમાંચક અનુભવ કરી શકાય? એવું કર્યું હોય તો પ્રેમના જય જયકારને બદલે સંઘર્ષનો હાહાકાર જ અનુભવવાનો થાય ને!
સ્ત્રી હોય કે પુરૂષ પત્ની હોય કે પતિ નિખાલસતા પચાવવાની દરેકની ક્ષમતા સીમિત હોય છે અને પ્રેમ તો અસીમિત હોય છે. તેથી જ સ્તો લગ્ન પહેલાંના સંબંધો અને સંપર્કોને લગ્નની ચોરીમાં કોઈને ખબર ના પડે તે રીતે હોમીને જ દરેક લગ્નજીવનનો શુભારંભ કરે છે. એ શ્રેષ્ઠ નથી પણ ઈષ્ટ તો છે જ !
ફ્રિ હિટ:
એક યુવકને તેનાં માતા-પિતા લગ્ન માટે છોકરીઓ બતાવે. રૂપાળી છોકરીને તો તે જોવા માત્રથી ના પાડી દે. તેના વિશે કંઈ પૂછે પણ નહીં. આવું ઘણી વાર થયું પછી મિત્રોએ કારણ પૂછયું તો તેણે સ્માર્ટ જવાબ આપ્યો: જેની ભૂગોળ ઉજળી હોય તેનો ઈતિહાસ કલંકિત હોય છે. બોલો આવી માનસિકતાવાળા યુવક સાથે જેનું લગ્ન થયું હશે એ યુવતિનું પછી શું થયું હશે? અને મિત્રો આ ખૂબ અંગત ને નાજુક વાત છે. જીવનમાં ઘણું એવું હોય જે પોતાના સિવાય કોઈને ના કહેવું એજ સાચું છે. બાકી શરીર સંબંધો એ પવિત્ર કે અપવિત્ર નથી. કમનસીબે આપણો દંભી સડેલો સમાજ એ બધી વાતો નો નિર્ણય કરવા માટે લાયક નથી. વર્ષો પહેલાં દાદા ધર્માધિકારીએ સ્ત્રી પુરુષ સહજીવન નામે પ્રવચનો આપ્યા હતા જે પુસ્તક બન્યું. એ વાંચવા જેવું છે. ઘણું કહેવાય એવું છે પણ આ જડ પ્રજા ને શુ કહેવું.