ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે વિવિધ રાજ્યોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવી રહ્યા છે.
છત્તીસગઢના દુર્ગમાં સંપૂર્ણ લોકડાઉન
કોરોન કેસ વધતાં કલેકટરે લીધો નિર્ણય
મહારાષ્ટ્રના પૂણેમાં પણ નાઈટ કર્ફ્યૂ
દુર્ગમાં સંપૂર્ણ લોકડાઉન
છત્તીસગઢમાં કોરોના વાયરસ બેકાબૂ થતાં સરકાર આકરા પગલાં ભરી રહી છે. જે શહેરોમાં કોરોના વાયરસના વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યાં લોકડાઉનની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે દુર્ગમાં છઠ્ઠી એપ્રિલથી 14મી એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુર્ગના કલેકટરે કહ્યું કે સામાન્ય લોકોને અપીલ છે કે જિલ્લામાં સંક્રમણને રોકવા માટે ખૂબ જરૂરી છે કે લોકડાઉન કરવામાં આવે જેથી કોરોના વાયરસની ગતિશીલતાને કંટ્રોલ કરી શકાય.
Complete lockdown to be imposed in Durg district April 6th to 14th in the light of #COVID19 situation: Durg Collector Sarveshwar Bhure #Chhattisgarh
રાયપુર સહિતના ઘણા જિલ્લામાં તંત્ર દ્વારા રાતના સમયે દુકાનોને બંધ રાખવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ઘણા જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ કરવામાં આવ્યું છે. રાયપુરમાં ધારા 144 પણ લગાવવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકારે જે તે જિલ્લાના કલેકટરને લોકડાઉન કરવાની સત્તા આપી છે.
પૂણેમાં પણ સખ્તી
મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ પુણેમાં લોકડાઉનનો સમય લંબાવીને સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આમ પુણેમાં હવેથી 123 કલાકનું લોકડાઉન રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસમાં વધારો થતાં લોકડાઉનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તો પૂણેમાં આગામી 7 દિવસ સતત હોટલ-રેસ્ટોરા બંધ રહેશે.
કોરોનાના રેકોર્ડબ્રેક કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે આજે 6 મહિનાના ટોપ પર આંકડા પહોંચી ગયા છે.દેશમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધૂમ પ્રચાર થઈ રહ્યો છે ત્યાં દેશમાં કોરોના વાયરસ પણ નોનસ્ટૉપ કહેર મચાવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસના આંકડા દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
શુક્રવારે કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં નવા 81 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ અનુસાર કોરોના વાયરસનો કહેર હવે 6 મહિનાના ટોપ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યાં મોતનો આંકડો 1 લાખ 63 હજારને પાર થઈ ગયો છે.
આઠ રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન
નોંધનીય છે કે આંકડા અનુસાર ભારતમાં આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જે આંકડાઓ સામે આવ્યા છે તેમાંથી 84.61% કેસ આ આઠ રાજ્યોમાંથી જ સામે આવી રહ્યા છે. આ આઠ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.