ફાયર બ્રિગેડ અને પોલીસના વાહનો સહિત ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ MLA અનંત પટેલ, ગૌરવ પંડ્યા, ઝંરણા પટેલ સહિત ટોળા સામે ગુનો દાખલ કરાયો છે.
અનંત પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ પોલીસ એક્શનમાં
MLA સહિત ટોળા સામે ગુનો દાખલ કરાયો, વાતાવરણ ગરમ
ટોળા પર સરકારી અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાથી આક્રોશિત ટોળાએ ખેરગામમાં તોડફોડ કરતા ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. અનંત પટેલ પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓ હજુ ઝડપાયા નથી ત્યાં ધારાસભ્ય સામે થયેલી ફરિયાદથી વાંસદામાં રાજકીય વાતાવરણ ગરમ થયું છે. અનંત પટેલ, ગૌરવ પંડ્યા, ઝંરણા પટેલ સહિત ટોળા સામે ગુનો દાખલ કરાયો છે. ખૂંધ ગામના સરપંચની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ તત્કાલીન ખેરગામ પીએસઆઇ એસ.એસ માલ પણ ફરિયાદી બન્યા છે.
ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયો હતો હુમલો
ગત 8મી સપ્ટેમ્બરના રોજ ખેરગામ બજારમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પ્રત્યાઘાત સ્વરૂપ ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ખેરગામના દશેરા ટેકરી વિસ્તારમાં ભેગા થયા હતા અને આરોપીને પકડવાની માંગ ઉગ્ર બની હતી. ત્યારે આવેશમાં આવેલા ટોળાએ ફાયર બ્રિગેડ સહિત પોલીસના વાહન અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. જે મામલે ખેરગામ પોલીસ મથકમાં ધારાસભ્ય અનંત પટેલ અને ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ધારાસભ્ય સહિત ટોળા વિરુદ્ધ FIR
ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલે હુમલાખોરો વિરુદ્ધ ખેરગામમાં પોલીસ ફરિયાદ આપી છે ત્યારે જેની સંપત્તિને નુકસાન પહોચાડવામાં આવ્યું તેમણે પણ ફરિયાદી બનીને ધારાસભ્ય સહિત ટોળા વિરુદ્ધ 3 FIR નોધાવી છે. બે દિવસ અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલમાંથી રજા મેળવી હાલ ઘરે આરામમાં છે ત્યારે તેમના વિરુદ્ધ પણ ફરિયાદ થતા હવે ખેરગામમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે.
ખેરગામમાં ભેગા થયેલા ટોળાએ મચાવ્યો હતો ઉત્પાત
ખેરગામમાં અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ ટોળાએ હાર્ડવેરની દુકાન સળગાવી હોવાના આક્ષેપો પણ થયા છે તો સાથે જ ફાયર બ્રિગેડની નવી નકોર ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સાથે પોલીસના વાહનો પણને નુકસાન પહોંચાડવા મામલે ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ હુમલામાં સામેલ આરોપી ભીખુ આહીર સહિત અન્ય ઈસમો હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલ સામે દાખલ થયેલી ફરિયાદ પ્રકરણમાં ધરપકડ થાય છે કેમ તે જોવું રહ્યું.