સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 21 બાળકોના મોતની ઘટના બની છે. ત્યારે આ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઇને કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
સુરતની દુર્ઘટના બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસિસના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તંત્રએ ડ્રોઈંગ ક્લાસિસના સંચાલક ભાર્ગવ બૂટાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો FSLના રિપોર્ટ બાદ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે. જવાબદાર તમામ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે.
મહત્વનું છે કે, સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 21 બાળકોના મોતની ઘટના બની છે. મળતી માહિતી મુજબ તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષ પાસે આવેલ જીઇબીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. ટ્રાન્સફોર્મર બિલ્ડિંગથી સાડા ત્રણ ફૂટ દૂર હોવાથી અને બિલ્ડિંગમાં એસી લગાવેલા હોવાથી જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
જેને લઈને તક્ષશિલા આર્કેડનો બહાર નીકળવાનો દરવાજો આગની લપેટમાં આવી ગયો હતો. આથી કોમ્પલેક્ષમાં 40થી વધુ લોકો માટે જીવ બચાવવા બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો. પરિણામે બીજા માળે કલાસીસમાંથી ત્રીજા માળે ટેરેસ પર ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતા કેટલાક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી છલાંગ મારી દીધી હતી. જેમાં ગંભીર ઈજાઓ પણ થઈ હતી.