નવરાત્રીના પહેલા અને બીજા નોરતે યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં પગમાં કાંકરા વાગતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતા ગરબા અધવચ્ચેથી બંધ કરવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે આ મામલે ખેલૈયાએ યુનાઇટેડ વેના ગરબા આયોજકો સામે સંયુક્ત ચેરિટી કમિશનરને ફરિયાદ કરી છે.
યુનાઈટેડ વેના ગરબા આયોજકો સામે ફરિયાદ
ખેલૈયાએ સંયુક્ત ચેરિટી કમિશનરને કરી ફરિયાદ
સખાવતની આડમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ રહી છેઃ ફરિયાદી
આદ્યશક્તિ મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે, કોરોનાના બે વર્ષ બાદ આ વખતે કોઈ રોકટોક વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ નિમિતે ઠેકઠેકાણે ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે અને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા શહેરના યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં પહેલા અને બીજા નોરતે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો.
પગમાં કાંકરા વાગતાં ગરબા રમવાનો ઉત્સાહ જ ઓસરી ગયો
વાત જાણે એવી છે કે, આ વખતે શહેરના અટલાદરના એમ.એમ પટેલ ફાર્મ ખાતે વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રીના પહેલા અને બીજા દિવસે યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. બીજા નોરતે હજારો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડ પર પગમાં કાંકરા વાગતાં ગરબા રમવાનો ઉત્સાહ જ ઓસરી ગયો હતો. ગ્રાઉન્ડમાં ઉમંગભેર ગરબા રમવા આવેલા ખેલૈયાઓ ભારે રોષ જોવા મળતા અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા.
માંજલપુર પીઆઇએ લેખિતમાં આપવા જણાવ્યું હતું
ગ્રાઉન્ડમાં પથ્થર મુદ્દે સતત બીજા દિવસે હોબાળો થતાં ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતા ગરબા અધવચ્ચેથી બંધ કરવાનો વારો આવ્યો હતો. ખેલૈયાઓ સ્ટેજ પાસે એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેથી માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. તો બીજી બાજુ ગાયક અતુલ પુરોહિતે પોતે સ્ટેજ પર દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'પહેલીવાર એવું થયું કે મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ પથ્થર મારા માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.' તો આયોજકોએ જેમને પણ રિફંડ જોઇતું હોય તે આવતી કાલે આવીને લઈ જઈ શકે છે તેવું જણાવ્યું હતું. આ મામલે હવે ખેલૈયાએ સંયુક્ત ચેરિટી કમિશનરને ફરિયાદ કરી છે. જીતિક્ષા રાવલ અને નિમિશા ગજ્જરે સંયુક્ત ચેરિટી કમિશનરને ફરિયાદ કરી છે.
ખેલૈયાએ સંયુક્ત ચેરિટી કમિશનરને કરી ફરિયાદ
ફરિયાદી જીતિક્ષા રાવલે જણાવ્યું કે, યુનાઈટેડ વે ગરબા આયોજકોએ ચેરિટી ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવવેલી છે. એટલે આ એક ટ્રસ્ટ છે, આ એક સંસ્થા છે, કે જે રજિસ્ટ્રર્ડ છે. જે સંસ્થા ગરબા યોજી ધાર્મિક પ્રવૃતિ કરી રહી છે. આ સંસ્થા પાસ વહેચીને જીએસટી વસૂલ કરે છે. જે એક વેપારી પ્રવૃતિ છે, એનાથી મોટાપાયે કોર્મશિયલ પ્રવૃતિઓ થઈ રહી છે. જેથી ટ્રસ્ટના વિરુધની આ પ્રવૃતિઓ છે. આ નાણાનું તમે શું કરી રહ્યા છો, ક્યાં જાય છે અને તેના પર જીએસટી કેમ વસૂલો છે. ટ્રસ્ટના સુવહિવટ માટે અને નાણાના સુવહિવટ માટે સંયુક્ત ચેરિટીકમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. જેથી આજે અમે આજે સંયુક્ત ચેરિટી કમિશનરને ફરિયાદ કરી છે.
હજુ પણ ખેલૈયાઓને પડી રહી છે તકલીફઃ ફરિયાદી
નિમિષા ગજ્જરે જણાવ્યું કે, યુનાઈટેડ વે એ વિશ્વ વિખ્યાત છે. નવરાત્રીના પ્રારંભથી જ અહીંયા ખેલૈયાઓનને ઘણી તકલીફ પડી રહી છે. ગ્રાઉન્ડ સાફ કર્યા બાદ પણ હજુ એજ પ્રોબ્લેમ છે. આ ઉપરાંત પાર્કિંગમાં પણ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. આયોજકો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી.