દિલ્હીમાં દલિત બાળકી સાથે સામુહિક બળાત્કાર અને હત્યા મામલે કરવામાં આવેલા ટ્વિટને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ ભાજપ પ્રવક્તા નવીન કુમારે નવી દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશન પર નોંધાવી છે.
દલિત બાળકી સાથે સામુહિક બળાત્કારના કેસમાં નવો ખુલાસો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે નોંધાઈ ફરિયાદ
નવીન કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીની સામે પોક્સો કાયદાની કલમ હેઠળ કેસ નોંધાવો જોઈએ. રાહુલે પોક્સો કલમની અવગણના કરી છે. રાહુલ ગાંધીએ બાળકીના માતા-પિતા સાથે મુલાકાત કર્યા બાદ તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ હોબાળો થયો હતો. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે તસ્વીર જાહેર કરવા સંદર્ભે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓની સામે કાર્યવાહી કરી હતી. ઘણાં દિવસો સુધી રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પણ લોક કરી દેવામાં આવ્યાં હતા. આ સાથે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ પર પણ તાળું લગાવી દીધુ હતું. જોકે, શનિવારે રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના એકાઉન્ટને ટ્વિટરે ફરીથી અનલોક કરી દીધુ છે.
પીડિતોની સુરક્ષા માટે ટ્વિટરે ઉઠાવ્યાં પગલા
એકાઉન્ટને અનલોક કર્યા બાદ ટ્વિટરે પણ નિવેદન જાહેર કર્યુ છે. માઈક્રો-બ્લોગિંગ સાઈટે કહ્યું છે કે, ભારતીય કાયદા મુજબ પીડિતોની સુરક્ષા અને તેમની પ્રાઈવસી માટે આ પગલા ઉઠાવ્યાં હતા. રાહુલ ગાંધી તરફથી તસ્વીરનો ઉપયોગ કરવા માટે ભારતમાં અમારી ફરિયાદ ચેનલના માધ્યમથી ઔપચારિક સહમતિ પત્રની એક પ્રતિ રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ તેમનું એકાઉન્ટ અનલોક કરવામાં આવ્યું.
રાહુલે ટ્વિટર પર કર્યા હતા પ્રહાર
આ સંદર્ભે કોંગ્રેસે ટ્વિટર પર કેન્દ્ર સરકારના દબાણમાં કાર્ય કરતુ હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ પણ વીડિયો જાહેર કરી ટ્વિટર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, ટ્વિટરે તેમનું એકાઉન્ટ અનલોક કરી તેમને ફોલો કરનારા લાખો લોકોનું અપમાન કર્યુ છે. એક કંપની તરીકે ટ્વિટર ભારતની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે, જે સુચારૂ લોકશાહીના માળખાની વિરુદ્ધ છે.