પોરબંદરની રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદથી આવેલા 72 વર્ષીય પ્યારેલાલ બસંતલાલ જાખોદિયાનું મૃત્યુ, સ્પર્ધા દરમિયાન પાણી મોઢામાં જતા હાર્ટ એટેક આવ્યાનું અનુમાન.
પોરબંદરની રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં સ્પર્ધકનું મૃત્યુ
તરણ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા 72 વર્ષીય પ્યારેલાલ જાખોદિયાનું મૃત્યુ
મૃતક તરણ સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદથી આવ્યા હતા પોરબંદર
પોરબંદરના દરિયાકાંઠે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં એક સ્પર્ધકનું મોત નીપજ્યું છે. અમદાવાદથી તરણ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચેલા પ્યારેલાલ જાખોદિયા (ઉં.વ 72) નામના સ્પર્ધકનું મૃત્યુ નીપજ્યું છે.
અમદાવાદના 72 વર્ષીય સ્પર્ધકનું મૃત્યુ
પોરબંદરની રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના બીજા દિવસે એક સ્પર્ધકનું મોત નીપજતા હડકંપ મચી ગયો છે. રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લેવા અમદાવાદથી પોરબંદર આવેલા 72 વર્ષીય પ્યારેલાલ જાખોદિયાનું સ્પર્ધા સમયે હાર્ટ એટેક આવતા મૃત્યું નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્પર્ધકોમાં તેમજ આયોજકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ સ્પર્ધા દરમિયાન વૃદ્ધના મોઢામાં પાણી જતું રહેતા હાર્ટ એટેક આવ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં તરણ સ્પર્ધાનું કરાયું આયોજન
નોંધનીય છે કે, પોરબંદરમાં રમણીય દરિયા કિનારો આવેલ છે અને આ દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 22 વર્ષથી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પોરબંદર ખાતે ચોપાટી ઉપર 21 મી સ્વીમેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્પર્ધકોએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
પ્રથમ દિવસે 193 તરવૈયાઓએ સમુદ્ર સાથે ભીડી હતી બાથ
ભારતભરમાંથી તરવૈયાઓ સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાયા હતા. રાષ્ટ્રીય તરણ સ્પર્ધાના પ્રથમ દિવસે 193 તરવૈયાઓએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. આ પ્રસંગે નેવી, કોસ્ટ ગાર્ડ અધિકારી, ચીફ ઓફિસર તેમજ ક્લબના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ઇવેન્ટમાં ફ્લેગ ઓફ કરી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. જોકે, આજે બીજા દિવસે વૃદ્ધનું મોત થતાં સ્પર્ધકોમાં તેમજ આયોજકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.