પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તુલના શિરડીના સાંઈબાબા સાથે કરી હતી અને ભારત જોડો યાત્રાના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.
રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીની તુલના શિરડીના સાંઈબાબા સાથે કરી
લોકો રાહુલ ગાંધીને ભવિષ્યની એક આશા તરીકે જોઈ રહ્યા છે
ગાંધી પરિવારને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ગઇકાલે રવિવારે મોટું નિવેદન આપ્યું હતું અને એમને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તુલના શિરડીના સાંઈબાબા સાથે કરી હતી. જણાવી દઈએ કે આ સાથે જ એમને ભારત જોડો યાત્રાના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. રોબર્ટે વાડ્રાએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' થી દેશમાં પરિવર્તન જોવા મળશે કારણ કે હજારો લોકો તેમાં જોડાઈ રહ્યા છે અને રાહુલ ગાંધીને ભવિષ્યની એક આશા તરીકે જોઈ રહ્યા છે.'
રાહુલ ગાંધીની તુલના શિરડીના સાંઈબાબા સાથે કરી
જણાવી દઈએ એ કે પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા રવિવારે મહારાષ્ટ્રમાં આવેલ શિરડી શહેરના પ્રખ્યાત સાંઈબાબા મંદિરની મુલાકાત લેવા અને ત્યાં પૂજા કરવા માટે આવ્યા હતા. એ સમયે વાડ્રાએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધીની વિચારસરણી એક આધ્યાત્મિક નેતા જેવી છે જેમનેએકતાનો ઉપદેશ આપ્યો હતો.' જો કે આ બાબતે એમને વિસ્તૃત રીતે કશું નહતું કહ્યું.
એક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર વાડ્રાએ આગળ કહ્યું હતું કે 'હાલમાં આપણો દેશ ઘણા સંકટનો સામનો કરી રહ્યો છે. રાહુલ ગાંધીની વિચારસરણી સાંઈબાબા જેવી છે અને અમને એવી આશા છે કે રાહુલને સાઈબાબાના આશીર્વાદ મળશે.' આ સિવાય વાડ્રાએ 'ભારત જોડો યાત્રા' વિશે કહ્યું હતું કે 'હાલ રાહુલ ગાંધી ઘણી જગ્યાએ જઈને હજારો લોકોને મળી રહ્યા છે અને આ ભારત જોડો યાત્રામાં એમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ભવિષ્યમાં પરિવર્તન આવશે કારણ કે રાહુલ ગાંધી લોકો માટે એક નવી આશા છે.
ગાંધી પરિવારને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે
આગળ રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે 'હાલની સરકાર અમારી ખામીઓ વિશે વાત કરશે અને અમારી પાર્ટીની મજાક ઉડાવશે પણ આ બધાથી રાહુલ અને પ્રિયંકા અટકવાના નથી. અમે લોકોની વચ્ચે છીએ અને રહીશું. અમને ગાંધી પરિવારને લોકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. અને કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ લોકોની વધુ મદદ કરવાનો પ્રયાસ કરશે.'
આ સાથે જ જે લોકો કોંગ્રેસ છોડીને જાય છે એમના માટે રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, 'જે લોકો છોડવા માંગે છે તે ભલે જાય પણ જે લોકો રહેશે તે બધા સોનિયા ગાંધીના બલિદાન અને રાહુલ અને પ્રિયંકાના પ્રયાસોને સમજશે.'