બટાટાના બિયારણના પેટન્ટ ભંગના મામલે પેપ્સીકો કંપનીના અધિકારીઓ ગાંધીનગર પહોંચશે. જ્યાં તેઓ રાજ્ય સરકારના ખેતી વિભાગના સચિવને મળશે. તો CM રૂપાણી સાથે પણ અધિકારીઓ આ મામલે ચર્ચા કરી શકે છે. જેમાં ખેડૂતો સાથેના સમાધાનકારી પગલા પર ચર્ચા કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ કંપની ભીંસમાં આવવાથી કેસ પરત ખેંચવા મજબૂર બની છે. મહત્વનું છે કે,અમેરિકાની પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બટાકા પકવતા ચાર ખેડૂતો સામે કેસ કર્યો હતો.
જેમાં બટાટાના બિયારણના પેટન્ટ ભંગ મુદ્દે કંપનીએ ખેડૂતો સામે કેસ કરીને રૂપિયા એક કરોડનો દાવો પણ કર્યો હતો. તેમજ અમુક બટાકાના પેટન્ટ હોવાનો કંપનીએ આક્ષેપ કર્યો હતો. જો કે ખેડૂત સંગઠનોની લડત અગાઉ જ કંપનીએ કેસ પરત ખેંચતા ગુજરાતના ખેડૂતોની હાલ જીત થઇ છે.
તમને જણાવી દઇએ કે, છેલ્લા એક મહિનાથી ગુજરાતના ખેડૂતો દ્વારા પકાવાઈ રહેલા બટેકાની જાત પર દાવો માંડનાર વિશ્વ વિખ્યાત કંપની પેપ્સીકોએ અંતે આજે નમતુ જોખ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે પેપ્સીકો ઈન્ડિયાએ કરેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. બટાકાની અલગ જાત પર પેટન્ટ ધરાવે છે, તેવા દાવા સાથે પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતો સામે પેટન્ટ એક્ટ અને અન્ય કાયદા હેઠળ કેસ કર્યા હતા.
ગત સપ્તાહે ખેડૂતોએ પણ પેપ્સીકો સામે બાયો ચઢાવતા અને ગુજરાત સરકાર પણ ખેડૂતોની વહારે આવતા અંતે આજે કંપનીએ કેસ જ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના ખેડૂતો સામે પડેલી પેપ્સીકો કંપનીની પ્રોડક્ટોનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયામાં હાંકલ કરવામાં આવી રહી હતી. દુનિયામાં દરેક કંપની માટે મોટુ માર્કેટ ગણાતા ભારતમાં પણ કંપનીના કારોબારને માઠી અસર પડવાની સંભાવનાએ કંપનીએ ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચવાની નોબત આવી છે.