નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે બજેટમાં ટેક્સમુક્તિની મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે
બજેટ 2022માં થઇ શકે આ લાભ
સામાન્ય વ્યક્તિને મળી શકે છે આ લાભ
ટેક્સમુક્તિની મર્યાદામાં થઇ શકે છે વધારો
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથુ બજેટ છે. આખા દેશની નજર આજે રજૂ થનારા આ બજેટ પર છે. આ બજેટ કોવિડ-19 મહામારીની ત્રીજી લહેર અને વિધાનસભા ચૂંટણી વચ્ચે રજૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. બજેટ 2022 માં વિધાનસભાની ચૂંટણીઓને કારણે મતદારોને ખુશ કરવા માટે સારા પગલાં લેવામાં આવી શકે છે.
આ વર્ષના બજેટમાં શું છે અપેક્ષા
આ વખતના બજેટમાં એક તરફ ઉદ્યોગપતિને બિઝનેસમાં રાહતની આશા છે, તો બીજી તરફ સામાન્ય માણસને મોંઘવારીમાંથી રાહત મળે તેવી આશા છે, જ્યારે પગારદાર વ્યક્તિ બજેટમાંથી આવકવેરામાં છૂટની અપેક્ષા રાખે છે. જો કે, મોદી સરકારે અનેક વખત પોતાના નિર્ણયોથી લોકોને ચોંકાવી દીધા છે. એક રિપોર્ટ અનુસાર સરકાર આ વખતે બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને કરદાતાઓને રાહત આપી શકે છે.
આજથી 8 વર્ષ પહેલા સામાન્ય માણસને આવકવેરામાં મુક્તિ મળી હતી. વર્ષ 2014માં સરકારે આવકવેરા મુક્તિ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી હતી. તે જ સમયે, 60 થી 80 વર્ષની વય જૂથના નાગરિકો માટે કર મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ વર્ષના બજેટમાં સામાન્ય માણસને આવકવેરામાં છૂટ મળી શકે છે. એટલે કે ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 થી વધારી શકાય છે.
આટલી છૂટ મળી શકે છે
આ વર્ષના બજેટમાં ઇન્કમ ટેક્સમાં 2.5 લાખથી વધારીને 3 લાખ રુપિયા સુધી કરવાનું એલાન થઇ શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 3 લાખ રુપિયાથી વધારીને 3.5 લાખ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આવક સ્લેબમાં હાલ 15 લાખથી વધારે સંશોધિત કરવામાં આવ્યુ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.